૨૦૧૪માં સત્તાના શિખરે પહોંચ્યા બાદ દેશની આયાત નિર્ભરતા ઘટાડીને ભારતના આંતરિક અર્થતંત્રને મજબૂતી આપવાના ઉદ્દેશ્ય સાથે કરેલ મેક ઈન્ ઈન્ડિયા નેમ હવે દેશની સુરક્ષા માટે જ ખતરો બની રહ્યાં છે. એક અહેવાલ અનુસાર દેશમાં હવે શસ્ત્રોની અછત સર્જાઈ રહી છે અને તેના માટે જવાબદાર છે મેક ઇન ઇન્ડિયા નીતિ.
૨૦૧૪માં બાદ વડાપ્રધાન મોદીએ દેશમાં મોબાઈલ ફોનથી લઈને ફાઈટર જેટ સુધીની દરેક વસ્તુ બનાવવા માટે મેક ઈન ઈન્ડિયા નીતિ જાહેર કરી હતી. આ યોજનાનો ધ્યેય વધુ સ્થાનિક રોજગાર સર્જન અને વિદેશી હૂંડિયામણની નિકાસને અટકાવવાનો હતો પરંતુ આઠ વર્ષ પછી વિશ્વના લશ્કરી શસ્ત્રોનો સૌથી મોટા આયાતકાર દેશ ભારત હજી પણ પોતાની જરૂરિયાતોને પહોંચી વળવા સ્થાનિક સ્તરે શસ્ત્રો બનાવવામાં અસમર્થ રહ્યું છે. સામે પક્ષે સરકારે શસ્ત્ર-સરંજામના આયાત નિયમો કડક કરતા અને અમુક શસ્ત્રો પર રોક લગાવતા હવે સુરક્ષાની સ્થિતિ વણસી રહી છે.
આ મામલા સાથે સંબંધિત અધિકારીઓએ ખાનગી ધોરણે બ્લૂમબર્ગને આપેલી માહિતી અનુસાર ભારતની વાયુસેના, આર્મી અને નૌકાદળ જુના થઈ ગયેલ શસ્ત્રોને બદલે નવા શસ્ત્રો આયાત કરવામાં સક્ષમ નથી. સરકાર દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધોને કારણે વર્ષ ૨૦૨૬ સુધીમાં ભારતમાં હેલિકોપ્ટરની ભારે અછત રહેશે અને ૨૦૩૦ સુધીમાં અનેક ફાઈટર એરક્રાફ્ટની પણ અછત સર્જાશે.
સરકારના નિયમ અનુસાર શસ્ત્રોના ૩૦થી ૬૦% ભાગોનું દેશમાં ઉત્પાદન કરવાનું ફરજિયાત છે. ભારતની સૈન્ય ખરીદી કેવી છે અને તેઓ ક્યાંથી કરે છે તેના પર આ શરતો નિર્ભર છે. ભારતમાં અગાઉ આ પ્રકારની કોઈ મર્યાદા ન હતી અને પછી ભારતે સંરક્ષણ ખરીદીની કિંમત ઘટાડવા માટે સ્થાનિક ઉત્પાદનને અગ્રિમતા આપી હતી પરંતુ આ યોજના હવે ઉંધા માથે પટકાઈ રહી છે. ડિફેન્સ ક્ષેત્રે મેક ઈન ઈન્ડિયાની યોજના હાલના તબક્કે નિષ્ફળ જતા અને ભારતમાં અગ્નિવીર જેવી યોજના ભારતીય સૈન્યની નબળી તૈયારી છતી કરે છે. સામે પક્ષે ભારતને પાકિસ્તાન અને ચીન તરફથી મળતી ધમકીઓ અને સરહદી સુરક્ષાની સમસ્યા પણ દિવસે દિવસે વિકરાળ બની રહી છે. એક અધિકારીએ કહ્યું, ભારત માટે નબળા વાયુસેનાનો અર્થ થશે કે તેને ચીનનો સામનો કરવા માટે જમીન પર લગભગ બમણા સૈનિકોની જરૂર પડશે અને સામે પક્ષે નવી યોજના પકડ નબળી કરશે.
ભારતીય સેનાએ કેટલીક સૈન્ય વસ્તુઓની સ્થાનિક ખરીદીમાં વધારો કર્યો છે પરંતુ દેશમાં ડીઝલ-ઇલેક્ટ્રિક સબમરીન અને બે એન્જિનવાળા ફાઇટર જેટના ઉત્પાદન માટે ઢાંચો હજી તૈયાર નથી.
વિદેશમાંથી ફાઈટર જેટ ખરીદવાની ભારતની યોજના અટકાવી દેવામાં આવી છે કારણ કે મોદી સરકાર ઈચ્છે છે કે એરફોર્સ દેશમાં બનેલા સિંગલ એન્જિન ફાઈટર જેટને અપનાવે. આ જેટની સપ્લાયમાં ઘટ તો છે અને ડબલ એન્જિનના ફાઈટર પ્લેન હજુ ભારતમાં બનાવવામાં આવ્યા નથી.
બેંગ્લોર સ્થિત સંરક્ષણ ઉત્પાદન કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દર વર્ષે માત્ર આઠ સ્વદેશી ફાઈટર જેટ તેજસ બનાવી શકે છે. કંપનીએ ૨૦૨૬ સુધીમાં તેની ઉત્પાદન ક્ષમતા બમણી કરવાનું લક્ષ્ય રાખ્યું છે પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સપ્લાય ચેઈન અટકી જવાથી તેમાં વધુ વિલંબ થઈ શકે છે તેમ સૈન્ય અધિકારીઓએ બ્લૂમબર્ગને જણાવ્યું હતુ.
આ સ્થિતિમાં હવે ભારતની સ્વદેશી સંરક્ષણ પ્રણાલી ઊભી કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો ભારતને ચીન અને પાકિસ્તાનના ખતરા સામે સંવેદનશીલ બનાવી રહ્યાં છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ