કુખ્યાત અબુ દુજાનાને સુરક્ષા દળોએ મોતને ઘાટ ઉતારી દીધા બાદ હવે તોયબાના કમાન્ડર તરીકેની જવાબદારી અબુ ઇસ્માઇલને સોંપી દેવામાં આવી છે. તે પણ ખતરનાક છે. થોડાક દિવસ પહેલા અમરનાથ શ્રદ્ધાળુઓની બસને ટાર્ગેટ બનાવને કરવામાં આવેલા હુમલામાં અબુ ઇસ્માઇલ મુખ્ય માસ્ટરમાઇન્ડ તરીકે હતો. અબુ ઇસ્માઇલ પાકિસ્તાની નાગરિક છે. અમરનાથ યાત્રીઓની બસ પર કરવામાં આવેલા હુમલામાં કુલ છ મહિલાઓ સહિત સાત શ્રદ્ધાળુઓનો મોત થયા હતા. સાથે સાથે આ હુમલામાં ૧૯ અન્ય ઘાયલ થયાહતા. પ્રોએક્ટિવ ઓપરેશન પહેલાથી જ દક્ષિણ કાશ્મીરમાં ચાલી રહ્યુ છે જેનો મુખ્ય હેતુ ઇસ્માઇલને ઠાર કરી દેવાનો રહ્યો છે. આ મહિનાની શરૂઆત બાદથી હજુ સુધી સાત ખતરનાક ત્રાસવાદીઓ માર્યા ગયા છે. અમરનાથ શ્રદ્ધાળુઓ પર હુમલા બાદ સુરક્ષા દળો આક્રમક રીતે આગળ વધી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના પુલવામાં જિલ્લામાં સુરક્ષા દળોની સાથે ભીષણ અથડામણમાં મંગળવારના દિવસ સવારે ત્રાસવાદી સંગઠન લશ્કરે તોયબાનો ખતરનાક ત્રાસવાદી અને લીડર તરીકેની ભૂમિકામાં રહેલો અબુ દુજાના ઠાર થયો હતો. તેની સાથે અન્ય કેટલાક ત્રાસવાદીઓ પણ માર્યા ગયા હતા. જો કે તેમના સંબંધમાં હજુ સુધી માહિતી જાહેર કરવામા ંઆવી નથી. સુરક્ષા દળો સાથેની અથડામણમાં દુજાના સાથે તોયબાનો અન્ય કુખ્યાત ત્રાસવાદી આરિફ લિલહારી તેમજ અન્ય બે ત્રાસવાદીઓ ફુંકાયા હતો. પુલવામાંમાં સાત કલાક સુધી અથડામણ ચાલ્યા બાદ દુજાના તેના સાથી સાથે ઠાર થયો હતો. ઠાર કરવામાં આવેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળાનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પુલવામાંના હાકરીપોરા ગામમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ છુપાયેલા છે તેવી પાકી માહિતી મળી ગયા મોટુ ઓપરેશન હાથ ધરવામા ંઆવ્યુ હતુ. સમગ્ર વિસ્તારમાં પહોંચીને સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લઇને ઓપરેશન હાથ ધર્યુ હતુ. એ જ દરમિયાન ફસાઇ ગયેલા ત્રાસવાદીઓએ સુરક્ષા દળો પર અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. જેના પરિણામસ્વરૂપે સુરક્ષા દળોને ગોળીબાર કરવાની ફરજ પડી હતી.