મેઘરાજાએ વિરામ લેતા રાહત કાર્યો પૂરપાટ ચાલી રહ્યાં છે. સરકાર અસરગ્રસ્તો માટે મોટા પેકેજ લાવે છે તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.ગુજરાતમાં જુલાઇમાં મેઘરાજાએ બઘડાટી બોલાવ્યા બાદ ઓગષ્ટમાં વિરામ લીધો છે.
હાલ વરસતા શ્રાવણ માસના સરવડાને બાદ કરતા રાજ્યમાં કયાંય ભારે વરસાદની સંભાવના ન હોવાનું હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું લોકોએ હાશ અનુભવી છે.જુલાઇના પાછલા પખવાડિયામાં પડેલા વરસાદથી સોરાષ્ટ્રમાં મોરબી અને ચોટીલા આસપાસના વિસ્તારો જેવા કે માળિયા મિંયાણા, ટંકારા, પડધરી, ચોટીલા, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, ધોલેરા જેવા વિસ્તારોમાં ભારે નુકસાની થઈ છે.
છેલ્લાં બે-ચાર દિવસથી વરસાદે વિરામ લેતા સરકારે રાહત કાર્યોને વેગ મળ્યો છે. તા. ૮ સુધી છુટાં છવાયા વરસાદને બાદ કરતા કયાંય ભારે વરસાદની આગાહી નથી. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઉઘાડની પરિસ્થિતિ છે. જ્યાં પાણી ભરાયા હતા તે લગભગ ઓસરી ગયા છે. વિશેષ અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનીના વળતર માટે મોટા પેકેજ તૈયાર થઇ રહ્યા છે. ખેડૂતોને વિશેષ લાભ મળે તેવા અણસાર છે.
ચોમાસાના પ્રારંભે ધોધમાર વરસાદથી ડેમો, તળાવોમાં પાણીની ધીંગી આવક થતા, ગુજરાતમાં મોટા પાયે પીવાના પાણીનો પ્રશ્નમાં હલ થઇ ગયો છે. અમૂક શહેરોમાં તો આખા વરસનું પાણી ઠલવાઇ ગયું છે. અત્યારનો વરસાદી વિરામ ખેતીને લાભ થશે.