સુરેશ ત્રિવેદી , ભાવનગર
ભાવનગર જિલ્લામાં કોવિડ રસીકરણની કામગીરી ગતિશીલ રીતે ચાલી રહી છે. ગામોગામ રસીકરણ કરવા માટે લોકોના સમયે અને રાત્રી સેશન કરીને પણ આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાનો એકપણ નાગરિક કોરોનાની રસીથી વંચિત ન રહી જાય તે માટે કટિબદ્ધતાથી કાર્ય કરવામાં આવી રહ્યું છે.
છતાં, અમુક ગામડાઓમાં અમુક જ્ઞાતિના લોકો અંધશ્રદ્ધા, અફવાઓથી દોરવાઇને કોરોનાની રસી લેવાનું યેનકેન પ્રકારે ટાળી રહ્યાં છે. આ રીતે કોરોનાની રસી લેવામાંથી બાકાત એવાં આ વિસ્તારના અસસંરક્ષિત લોકોને પણ કોરોનાની રસીથી સુરક્ષિત કરવાં માટે વધુ પ્રોત્સાહન મળે તે માટે ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગૂડે તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો.પ્રશાંત જીલોવા દ્વારા પ્રયત્નો હાથ ધરાયા છે.જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોથી યુવા અન્સ્ટોપેબલ અને પ્લાન ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે કોરોનાના રસીકરણમાં ઓછી આવકવાળા પરિવારના પ્રથમ ડોઝ લેનાર સભ્યને ૧ કિલો તેલ ભેટ આપવાનો પ્રોત્સાહક પ્રયોગ હાથ ધરાયો છે.
સમગ્ર ભાવનગર જિલ્લાને યુવા અન્સ્ટોપેબલ સંસ્થા દ્વારા એક લાખ લીટર તેલ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.તે અંતર્ગત જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.તાવીયાડ, આર.સી.એચ.ઓ. ડો.પી.વી.રેવર ના માધ્યમથી સિહોર તાલુકાને ૧૦ હજાર લીટર તેલનો જથ્થો મળેલ છે.
આ તેલના જથ્થાને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાણા, મઢડા, ઉસરડ, સોનગઢ, સણોસરા- અર્બનને ફાળવવામાં આવ્યો છે. તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઇ વકાણીએ શિહોર તાલુકા અંતર્ગત આવેલાં તમામ આરોગ્ય કેન્દ્ર અને અર્બન સેન્ટ્રલ હેઠળના લોકોને વધુ ને વધુ આવરી લેવા માટે સુદ્રઢ આયોજન હાથ ધર્યું છે.