સુરેશ ત્રિવેદી, ભાવનગર
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે ભાવનગર ખાતે નવી શરૂ થયેલી ફ્લાઇટના શુભારંગ પ્રસંગે કહ્યું કે, આજે ભાવનગર માટે નવો અધ્યાય લખાવાં જઈ રહ્યો છે. ગુજરાતની વિકાસની નવી ઉંચાઇઓને આંબી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક સાથે ૩ વિમાની કનેક્ટિવિટી રાજ્યને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં મળી છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, કનેક્ટિવિટી વિકાસને આગળ વધારે છે, જ્યાં કનેક્ટિવિટી ઘટે છે ત્યાં વિકાસ રૂંધાય છે. આ મહત્વને પારખીને રાજ્ય સરકારે વધુને વધુ એરપોર્ટ અને એરસ્ટ્રીપ વિકસાવીને રાજ્યની ક્ષમતાને વિશ્વ ફલક પર લઈ જવાં માટે વધુને વધુ કનેક્ટિવિટી પર ભાર મૂક્યો છે.
ભાવનગર એરપોર્ટ ખાતેથી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની નવી સીધી વિમાની સેવાની શરૂઆત ગાંધીનગરથી વર્ચ્યુઅલ રીતે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા (દિલ્હીથી વર્ચ્યુઅલ રીતે ) સાથે ફ્લેગ ઓફ કરાવતાં તેમણે કહ્યું કે, આ અગાઉ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી ભાવનગરના ઘોઘાથી દહેજ સુધી રો-રો ફેરી અને ઘોઘા થી સુરતની રો-પેક્ષ ફેરીની શરૂઆત દરિયાઈ માર્ગે કરાવી હતી અને હવે આજે ભાવનગરથી સીધા દિલ્હી અને મુંબઈ હવાઈ સેવાની શરૂઆત થઈ રહી છે.
ભાવનગર શહેર જમીન માર્ગ, જળમાર્ગથી જોડાયેલું તો હતું જ, હવે આજથી હવાઈ માર્ગે પણ જોડાઈ ગયું છે. આમ, ત્રણેય પ્રકારની યાતાયાતથી હવે ભાવનગર જોડાઇ ગયું છે.તેમણે કહ્યું કે, ગુજરાતી ન માત્ર એર કનેક્ટિવિટી વિકસિત કરી છે પરંતુ રોડ-રસ્તા રેલવે એમ તમામ પ્રકારની કનેક્ટિવિટી વિકસિત કરી છે. રાજ્યમાં ૧૬ એરપોર્ટ કાર્યરત છે. આ ઉપરાંત પાણીમાં પણ સી- પ્લેન માટે બે એરોડ્રામ વિકસિત કર્યા છે. તેના દ્વારા ગુજરાતના પવિત્ર યાત્રાધામો અને કેવડિયા જેવાં પ્રવાસધામોને પણ જોડીને વિકાસના દ્વાર ખોલ્યાં છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગુજરાતના નાગરિકો વેપાર-વણજ તેમજ શૈક્ષણિક તેમજ કારકિર્દીના વિકાસ માટે વિશ્વના ખૂણેખૂણે પથરાયેલાં છે ત્યારે આ એર કનેક્ટિવિટીથી વિશ્વ સાથે જોડવાનો એક વધુ માર્ગ ખૂલશે.
તેમણે કહ્યું કે એર કનેક્ટિવિટી સાથે રાજ્યના દૂરદરાજ નાના ગામડાઓમાં પણ ઈન્ટરનેટ સેવાઓ ઉપલબ્ધ બને તે માટે ભારત નેટ દ્વારા રાજ્યના તમામ ગામડાઓને ઇન્ટરનેટ કનેકટીવિટીથી જોડી દીધાં છે. ભારત નેટ થી ઇન્ટરનેટ આપવામાં ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ નંબરે છે