ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર દ્વારા મળતી માહિતી મુજ્બ
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા આયોજિત સંસ્કૃત સપ્તાહ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા લીંબડી પ્રાંત કચેરી ખાતેથી ઓનલાઈન જોડાયા હતા.
આ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સંસ્કૃત સપ્તાહનું આયોજન કરવા બદલ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, દર વર્ષે યુનિવર્સિટી દ્વારા સંસ્કૃત સપ્તાહનું આયોજન કરવામાં આવે છે, આવા કાર્યક્રમો થકી સંસ્કૃત ભાષા વિશે લોકોને જાણકારી મળે છે તેમજ સંસ્કૃતિની જ્યોત જલતી રહે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે સ્ટાર્ટઅપ, ઇનોગેશન અને રિસર્ચનો સમય છે, આ રિસર્ચ અને ઇનોગેશન માત્ર એન્જિનિયરિંગ ક્ષેત્ર પૂરતા સીમિત ન રહે પણ તેનો પ્રયોગ સંસ્કૃત ભાષામાં પણ થવો જોઈએ. આજે સંસ્કૃતના માધ્યમથી ગીતા, રામાયણ અને ગાયને ઘર સુધી પહોંચાડવાની જરૂર છે.
સંસ્કૃત ભાષા બધી જ ભાષાઓની માતા છે તેમ જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આ સંસ્કૃત ભાષાના સાહિત્યમાં દરેક સમસ્યાનો ઉપાય રહેલો છે. સંસ્કૃતના માધ્યમથી ધાર્મિક વાતો દ્વારા લોકોમાં શ્રદ્ધા કેળવાય છે અને આ શ્રદ્ધા થકી લોકો યોગ અને પ્રાણાયામ તરફ વળે છે. માટે આવનાર સમયમાં સંસ્કૃત ભાષાથી કોઈ અજ્ઞાત કે અજ્ઞાન ન રહે તે દિશામાં કાર્ય થવું જોઈએ.
આ તકે ધારાસભ્યશ્રી કિરીટસિંહ રાણા, પ્રાંત અધિકારીશ્રી એ.કે.ગોસ્વામી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એસ.એમ.બારડ ઉપસ્થિત રહ્યા હતા.