લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે રાજ્યની તમામ ૨૬ લોકસભા બેઠકો અને ચાર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે આજે સવારે ૭ થી સાંજના ૬ કલાક સુધી મતદાન યોજાયું હતું. સમગ્ર દિવસ દરમિયાન શાંતિપૂર્ણ માહૌલમાં મતદાન સંપન્ન થયું છે. આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનાં મતદાનમાં ગુજરાતમાંથી કુલ ૩૭૧ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હતાં. જેમાં ભાજપ અને કોંગ્રેસે તમામ ૨૬ બેઠકો પરથી પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. ગુજરાતમાં સૌથી વધારે મતદાન વલસાડમાં થયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન સૌરાષ્ટ્રનાં અમરેલીમાં થયું છે.
રાજયમાં ૨૬ લોકસભા બેઠકની ચૂંટણીની પ્રકિયા પૂર્ણ થયા બાદ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ.મુરલી ક્રિષ્નાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં ચૂંટણી અધિકારીએ રાજ્યમાં ૬૨.૩૬ ટકા જેટલું સરેરાશ મતદાન થયું હોવાની માહિતી આપી હતી.
આ સાથે દિવસ દરમિયાન કુલ ૪૩ જેટલી ફરિયાદો મળી હોવાની ચૂંટણી અધિકારીએ વિગતો જણાવી હતી. જેમાં અમદાવાદમાં સૌથી વધારે ૧૧ ફરિયાદો મળી છે.