ભાજપ સંસદીય દળની બેઠકમાં મોદીએ સાંસદોનો ક્લાસ લીધો હતો અને સંસદમાં લંચ પછી ગેરહાજર રહેતા સાંસદોને આડે હાથ લીધા હતા. મોદીએ સાંસદો પર ગુસ્સો ઠાલવીને કહ્યું હતું કે સંસદમાં સાંસદોની ગેરહાજરી ચલાવી લેવાશે નહીં. ક્યારેય પૂરતી હાજરી ન હોવાને કારણે લંચ પછી સત્ર શરૃ કરવામાં વિલંબ થાય છે. આથી તમામ સાંસદોએ રાજ્યસભામાં હાજર રહેવું જરૃરી છે. સાંસદોની સંખ્યા ઓછી હોવાથી ખરડાઓ પસાર કરવામાં સરકારને મુશ્કેલી પડતી હોવાનું તેમણે કહ્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની શપથવિધિને કારણે સંસદનાં બંને ગૃહની બેઠક બપોર સુધી મુલતવી રાખવામાં આવી હતી. લોકસભાને ૩ વાગ્યા સુધી અને રાજ્યસભાને ૨ વાગ્યા સુધી મુલતવી રખાઈ હતી.સંસદનું ચોમાસું સત્ર હજી સુધી તોફાની રહ્યું છે. સોમવારે સ્પીકર પર કાગળો ફેંકવાની ઘટનાને પગલે સુમિત્રા મહાજને ૬ કોંગ્રેસી સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવા માટે સંસદનાં પ્રાંગણમાં ગાંધીજીની પ્રતિમા નજીક વિરોધપક્ષનાં સાંસદોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને સસ્પેન્શન પાછું ખેંચવા અપીલ કરી હતી. સોમવારે ટોળા દ્વારા અને કથિત ગોરક્ષકો દ્વારા હત્યાના મામલે ચર્ચાની માગણી કરીને કોંગ્રેસ અને વિપક્ષનાં સાંસદોઓ સ્પીકર સુમિત્રા મહાજન પર કાગળો ફેંક્યા હતા.