અયોધ્યામાં નિર્માણ પામી રહેલું ભવ્ય રામ મંદિર ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં શ્રદ્ધાળુઓ માટે ખુલી જશે. ભારત સહિત વિશ્વભરના શ્રદ્ધાળુઓ રામલલાના દર્શન કરી શકશે. રામ મંદિર ટ્રસ્ટના સૂત્રોએ આ અંગે જાણકારી આપી છે. રામ મંદિર નિર્માણના કાની દેખરેખ રાખી રહેલા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે અગાઉ જણાવ્યું હતું કે, મંદિરનું મુખ્ય પરિસર ૨૦૨૩ના અંત સુધીમાં તૈયાર થઈ જશે અને ત્યારબાદ તેને શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે.
મંદિર નિર્માણ સાથે સંકળાયેલા સૂત્રોએ અગાઉ પણ જણાવ્યું હતું કે મંદિર નિર્માણ કાર્ય બે વર્ષની અંદર પૂર્ણ થશે અને બાદમાં પૂજા-આરાધના શરૂ થશે. ત્યારબાદ શ્રદ્ધાળુઓને ભગવાનના દર્શનની મંજૂરી આપવામાં આવશે. જેથી એવો અંદાજ લગાવવામાં આવે છે કે ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં મંદિરનું કામ લગભગ પૂર્ણ થઈ જશે અને લોકો ભગવાન રામની પૂજા-આરાધના કરી શકશે.
ગુરુવારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણની શરૂઆતને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. આ અવસરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યાની મુલાકાત લેશે. પ્રાપ્ત વિગતો મુજબ આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ સંબોધન કરી શકે છે.
ગત વર્ષે કોરોનાકાળમાં પ્રતિબંધો વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું હતું. અયોધ્યામાં સરકારી કાર્યક્રમ અંતર્ગત ૧૦૦થી વધુ લોકોને પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ આપવામાં આવશે.
પાછલી પોસ્ટ