શરદ પવારની પીએમ મોદી સાથેની મિટિંગ બાદ મહા વિકાસ અઘાડી સતત ચર્ચામાં છે. એનસીપી અને શિવસેનાની વચ્ચે ખટપટના સમાચાર પણ સામે આવી રહ્યા છે. આ દરમિયાન શિવસેનાએ એનસીપીના સાંસદ અમોલ કોલ્હેને લઇને સખ્ત નિવેદન આપ્યું છે અને ગઠબંધનમાં ઝેર ના ઘોળવાની શિખામણ આપી છે. શિવસેનાના પ્રવક્તા કિશોર કાન્હેરેએ કહ્યું છે કે શિરૂર સાંસદ કોલ્હેને એ ના ભૂલવું જાેઇએ કે ઉપમુખ્યમંત્રી અજીત દાદા પવાર રાજ્ય ચલાવવા માટે સતત મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વિચાર-વિમર્શ કરી રહ્યા છે.
શિવસેનાએ અભિનેતાથી નેતા બનેલા શિરૂર સાંસદ ડૉ. અમોલ કોલ્હેને તેમના એક નિવેદન બાદ નિશાન બનાવ્યા છે. કોલ્હેએ હાલમાં જ કહ્યું હતું કે, એનસીપી પ્રમુખ શરદ પવારની કૃપાથી જ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા છે. કોલ્હેના આ નિવેદન બાદ કાન્હેરેએ કહ્યું છે કે, “અમોલ કોલ્હેની યાદશક્તિના પરીક્ષણનો સમય આવી ગયો છે. અભિનેતાને સ્ક્રિપ્ટ જાેઇને ડાયલોગ બોલવાની આદત હોય છે, આ કારણે કદાચ તેઓ ભૂલી ગયા છે કે તેઓ ઉદ્ધવ ઠાકરેની કૃપાથી જ રાજનીતિમાં છે. આ કારણે સત્તાની દ્રાક્ષ તમને મળી છે એ ખાટી ના કરો.”
ઉલ્લેખનીય છે કે કોલ્હે અને એનસીપીની આ નિવેદનબાજીથી પહેલા ગુરૂવારના જ એનસીપી ચીફ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ લગભગ ૩૦ મિનિટ મુલાકાત કરી હતી. આમાં મહાવિકાસ અઘાડી સરકારને લઈને અનેક મુદ્દાઓ પર વાતચીત થઈ હતી. ઉલ્લેખનીય છે કે શનિવારના રાષ્ટ્રવાદી કાૅંગ્રેસ પાર્ટીના ચીફ શરદ પવારે સંસદના મૉનસૂન સત્રથી ૨ દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
બંને નેતાઓની વચ્ચે લગભગ ૫૦ મિનિટ સુધી વાતચીત ચાલી. પવારે એક ટ્વીટમાં કહ્યું કે, ‘દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. રાષ્ટ્રહિતથી જાેડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરી.’ આ પહેલા પીએમઓએ બંને નેતાઓ વચ્ચે થયેલી મુલાકાતની એક તસવીર શેર કરી હતી.
પાછલી પોસ્ટ