નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. સિપુ અને અન્ય ડેમો અંગે સોશ્યલ મીડિયા દ્વારા જે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે તેનાથી નાગરિકોને દૂર રહેવા તથા અફવાથી નહીં ગભરાવા રાજ્ય સરકાર દ્વારા અપીલ કરાઇ છે. તેમણે ઉમેર્યું કે, ઉત્તર ગુજરાતમાં બારેમેઘ ખાંગા થયા છે, જેના લીધે બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠાના વિસ્તારો અસરગ્રસ્ત થયા છે. ઉપરાંત રાજસ્થાનના વિસ્તારોમાં પણ ભારે વરસાદને કારણે સિપુ અને દાંતીવાડા ડેમમાં પાણીની આવક ગઇકાલે વધુ હોવાથી પાણી છોડવામાં આવ્યું હતું અને સિપુ ડેમને નુકશાન થયું છે તેવી અફવાઓ સોશ્યલ મીડિયા દ્વારા વાઇરલ થઇ હતી તે સંદર્ભે નાગરિકોએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી. સિપુ ડેમ સાવ સલામત છે. તેમજ ઉપરવાસમાંથી પાણીની આવક પણ આજે ઓછી થઇ છે તો નાગરિકોને ગભરાવાની જરૂર નથી. રાજ્ય સરકાર દ્વારા ટી.વી. માધ્યમ સહિત અન્ય માધ્યમો મારફતે જે સૂચનાઓ સ્ટેટ કંટ્રોલ રૂમ કે અન્ય દ્વારા આપવામાં આવે તેને અનુસરવા રાજ્ય સરકાર દ્વારા અપીલ કરાઇ છે.