સુરેશ ત્રિવેદી, ભાવનગર
ચોમાસાની ઋતુમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં તેમજ ખાડાવાળી જગ્યાઓમાં પાણી ભરાઇ રહેતું હોય છે. જેને લીધે આ ખાડાઓમાં તેમજ નિચાણવાળા ભાગોમાં મચ્છરની મોટા પ્રમાણમાં ઉત્પત્તિ થતી હોય છે.આ મચ્છર કરડવાને કારણે મેલેરિયા જેવા રોગોનું પ્રમાણ ચોમાસામાં વધતું હોય છે. આ મેલેરિયા રોગના પ્રસરણ માટે મચ્છરો જવાબદાર છે. ત્યારે આ મચ્છરોના નિયંત્રણ માટે વિવિધ પ્રયોગો આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત પોરા ભક્ષક ગપ્પી માછલીનો નવતર પ્રયોગ છેલ્લા ઘણાં સમયથી વધ્યો છે. આ પ્રયોગમાં પોરા ભક્ષક માછલીઓને પાણી ભરેલા ખાડાઓમાં કે નાના તળાવ કે ખાબોચિયામાં મૂકવામાં આવે છે. આ માછલીઓનો મુખ્ય ખોરાક મચ્છર દ્વારા ઈંડા સ્વરૂપે મુકવામાં આવતા પોરા છે. આ માછલીઓ મચ્છરના ઈંડાને ખોરાક તરીકે આરોગી જાય છે. જેથી મચ્છરની ઉત્પત્તિ થતી અટકે છે અને મચ્છરોના પ્રમાણને કુદરતી રીતે ઘટાડી શકાય છે.