લોક જનશક્તિ પાર્ટી (લોજપા)માં ભંગાણ બાદ ચિરાગ પાસવાને પહેલી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ માગી છે. ચિરાગ પાસવાને કહ્યું હતું કે, જાે ‘હનુમાન’નો વધ થઈ રહ્યો હોય તો રામ ચૂપ રહે તે યોગ્ય નથી. ચિરાગ પાસવાનને લોજપાના આંતરિક ભંગાણ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યસ્થતા કરે તેવી આશા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે ચિરાગે પોતાને વડાપ્રધાન મોદીનો ‘હનુમાન’ ગણાવ્યો હતો.
ચિરાગ પાસવાને કહ્યું હતું કે, ચૂપચાપ હનુમાન વધ જાેવો તે રામને શોભા નથી આપતું. અમારી પાર્ટીએ હંમેશા ભાજપનો સાથ આપ્યો છે પરંતુ આજે જ્યારે અમે મુશ્કેલીમાં છીએ તો ભાજપના નેતાઓએ મૌન સેવી લીધું છે. મને વડાપ્રધાન મોદી મધ્યસ્થતા કરે તેવી આશા છે.
વધુમાં કહ્યું હતું કે, અમને વિશ્વાસ છે કે, વડાપ્રધાન જલ્દી જ આ મુદ્દે હસ્તક્ષેપ કરીને બધું ઠીક કરી દેશે. અગાઉ એક ઈન્ટરવ્યુમાં તેમણે ભાજપને એકતરફી પ્રેમ ન કરી શકાય તેમ કહ્યું હતું.
આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, કાકા પશુપતિ પારસ પર વિશ્વાસ મુકવો તે સૌથી મોટી ભૂલ છે. મેં મારા પરિવારજનો ઉપર પિતાની જેમ વિશ્વાસ મુક્યો જેની કિંમત ચુકવવી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે, લોજપામાં પશુપતિ કુમાર પારસ અને ચિરાગ વચ્ચે પાર્ટી પર કબજાની લડાઈમાં પાર્ટીના સાંસદોએ પણ પશુપતિનો સાથ આપ્યો છે.