સંસદમાં કોંગ્રેસના છ સભ્યોને આજે પાંચ દિવસ માટે લોકસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. અધ્યક્ષ તરફ પેપરો ફેંકવા અને ગૃહની કાર્યવાહીને મોકૂફ કરવા બદલ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. છ કોંગ્રેસી સાંસદો ખુબ જ અયોગ્ય વર્તન કરી રહ્યા હતા. બોફોર્સ કેસમાં ચર્ચા ચાલી રહી હતી ત્યારે સમગ્ર મામલો સપાટી ઉપર આવ્યો હતો. ગૃહમાં કાર્યવાહી આના લીધે ખોરવાઈ ગઈ હતી. તોફાની ટોળા દ્વારા હાલમાં જ હત્યા અને ગૌરક્ષાને લઇને હિંસાના મુદ્દા ઉપર પણ ઉગ્ર ચર્ચા થઇ હતી. લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને કોંગ્રેસના છ સભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા જેમાં જી ગોગોઈ, કે સુરેશ, અધિરંજન ચૌધરી, રણજીત રંજન, સુસ્મિતા દેવ અને એમકે રાઘવનનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું હતું કે, તેઓએ અધ્યક્ષનું અપમાન કર્યું છે. વિપક્ષના સાંસદોએ લોકસભામાં ભારે ધાંધલ ધમાલ મચાવી હતી. સુત્રોચ્ચાર અને દેખાવો કરવામાં આવ્યા હતા. શાસક બેંચ તરફ પેપરો ફેંકવામાં આવ્યા હતા. અધ્યક્ષ તરફ પણ પેપરો ફેંકવામાં આવ્યા હતા. ત્યારબાદ સુત્રોચ્ચાર સત્તારુઢ પાર્ટી તરફથી પણ કરવામાં આવ્યા હતા. સંરક્ષણ અંગેની સંસદીય પેટા કમિટિ સમક્ષ વાંધા ઉઠાવવામાં આવ્યા હતા. બોફોર્સ તોપ સોદાબાજીમાં ફરી તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. કેગના કેટલાક પાસાઓની અવગણના કરવા સાથે સંબંધિત મામલાને પેટા સમિતિ તપાસ કરી રહી છે. મોટાભાગના પેટા સમિતિના સભ્યોએ સુપ્રીમ કોર્ટમાં જવા માટે સીબીઆઈને કહ્યું હતું. દિલ્હી હાઈકોર્ટે ૨૦૦૫માં ચુકાદો આપ્યો હતો જેમાં બોફોર્સ કેસમાં કાર્યવાહી રદ કરવાનો આદેશ કરાયો હતો. બોફોર્સ કૌભાંડ હોવિત્ઝર તોપની ખરીદીમાં કટકીની ચુકવણી સાથે સંબંધિત છે. આ કેસના કારણે રાજકીય ભૂકંપ સર્જાયો હતો અને ૧૯૮૯માં રાજીવ ગાંધી સરકારનું પતન થયું હતું. બોફોર્સ કેસમાં કેન્દ્રના પગલાનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. તોફાની ટોળા દ્વારા હિંસાના મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસી નેતા મલ્લિકાર્જુને હિંસા સાથે સંબંધિત મામલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. કેન્દ્રીયમંત્રી અનંતકુમારે જોરદાર મામલો ઉઠાવીને કહ્યું હતું કે, દેશમાં ગાયની પુજા કરવામાં આવે છે. ગાયનું રક્ષણ કરવામાં આવે તે જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, કોઇપણ ગુના ગાયના નામ પર થઇ શકે નહીં. આને ચલાવી પણ લેવામાં આવશે નહીં. આજે રાજ્યસભામાં ધમાલ જોવા મળી હતી. રાજ્યસભાના તમિળનાડુના સાંસદોએ તથા બંગાળના સાંસદોએ નીટ પરીક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો.