કલોલ તાલુકાનાં સાંતેજ ગામે વરસાદને કારણે માટીના કાચા ઘરની દિવાલ ભેજ લાગતાં ધસી પડતાં તેની નીચે દટાઈ જતાં બે બાળકોએ જીવ ગુમાવ્યો હતો.આ ઘટનાને પગલે પરીવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાવા પામી છે.સાંતેજ પોલીસે આ મોત નોંધી ઘટતી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કલોલ તાલુકા પંથકમાં છેલ્લાં ત્રણ દિવસથી અવિરત ધીમી ધારે વરસાદ ચાલુ છે.જેને કારણે વાતાવરણમાં ભેજ તથાં ઠંડક પ્રસરી જવા પામી છે.ગ્રામ્ય વિસ્તારોમાં ભેજને કારણે માટીના કાચા મકાનોની દિવાલો ધરાશાયી થવાના બનાવ નોંધાયાં છે. ત્યારે તાલુકાનાં સાંતેજ ગામે મોટા ઠાકોરવાસમાં શનિવારે મકાનની દિવાલ ધસી પડતાં બે માસૂમ બાળકોના કરૂણ મોત નિપજ્યાં હતાં.
સાંતેજ ગામે મોટા ઠાકોરવાસમાં રહેતાં નવઘણજી ઠાકોરનો એકમાત્ર પુત્ર ૯ વર્ષીય કાળાજી તથા હરેશજી ઠાકોરનો ૮ વર્ષીય પુત્ર જયદીપ એક બંધ માટીના કાચા મકાન પાસે રમી રહ્યાં હતાં , ત્યારે એકાએક મકાનની દિવાલ ધસી પડી હતી.જેમાં જયદીપ અને કાળાજી નીચે દટાઈ ગયાં હતાં.દિવાલના કાટમાળ નીચે દટાયેલ બંને બાળકોની સ્વબચાવ અર્થેની ચીસો સાંભળી આસપાસ રહેલ લોકો તાત્કાલિક દોડી આવ્યાં હતાં. તેઓએ બંનેને બહાર કાઢી સારવાર અર્થે ખસેડતાં ફરજ પરના તબીબે જયદીપને મૃત જાહેર કર્યો હતો.જયારે કાળાજીને વધુ સારવાર અર્થે અમદાવાદ સોલા સિવિલમાં લઈ જવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહેલ કાળાજીએ પણ પોતાનો દમ તોડી દીધો હતો.
કુળદીપક કાળાજીની જીવન જ્યોત બુઝાઈ જતાં પરીવારના માથે જાણે આભ તૂટી પડયું હતું. કાળાજી અને જયદીપના આમ અકાળે મોતથી તેઓના પરીવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાવા પામી છે. આ બનાવની જાણ સાંતેજ પોલીસને કરવામાં આવતાં પોલીસે અમોત નોંધી ઘટતી કાયેવાહી હાથ ધરી છે.