મા નર્મદા મહોત્સવની ઉજવણીનો સમાપન સમારોહ વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે આગામી તા.૧૨મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર છે. ડભોઇ કોલેજના ગ્રાઉન્ડ ઉપર વડાપ્રધાન જંગી જાહેરસભાને સંબોધન કરશે. ડભોઇમાં વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહેસુલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા તેમજ રાજ્યમંત્રીનાનુભાઇ વાનાણીએ આજે ડભોઇની મુલાકાત લીધી હતી. નાયબ મુખ્યમંત્રીનીતિન પટેલે ડભોઇ કોલેજ ગ્રાઉન્ડ ખાતે માર્ગ મકાન વિભાગ, નર્મદા અને જળ સંપત્તિ વિભાગ તેમજ ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી હતી. વડાપ્રધાનના કાર્યક્રમમાં જંગી મેદની ઉપસ્થિત થનાર છે, ત્યારે લોકોને કોઇ અગવડ ન પડે તે રીતે સુચારૂ અને અસરકારક વ્યવસ્થા કરવા તેમણે અધિકારીઓને જણાવ્યુ હતું. નાયબ મુખ્યમંત્રીએ કોલેજ ગ્રાઉન્ડ ખાતે જાહેરસભા સ્થળ, હેલીપેડ તેમજ વિવિધ પાર્કિંગ સ્થળોની મુલાકાત લઈ અધિકારીઓને માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા બંધ થતાં ગુજરાતના વિકાસના દ્વાર ખુલ્યા છે. નર્મદા યોજના થકી ગુજરાતના ખેડૂતોને સિંચાઇનું પાણી ઉપરાંત રાજ્યની ચાર કરોડ જનતાને પીવાનું પાણી મળવાનું છે. ડેમના દરવાજા બંધ થતાં દરિયામાં વહી જતુ પાણી રોકાશે અને ડેમમાં વધુ પાણીનો સંગ્રહ થશે. સાડા પાંચ દાયકા બાદ ગુજરાતની સાડા છ કરોડ જનતાની નર્મદા યોજના પૂર્ણ થવાની આશા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્ણ કરી છે જે ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. નાયબ મુખ્યમંત્રીએ ડભોઇ શહેરની સ્વચ્છતા માટે ઝુંબેશરૂપે કામગીરી હાથ ધરવા અધિકારીઓને સૂચનાઓ આપી હતી. આ અવસરે ગૃહ વિભાગના એમ.એસ.ડાગુર, ઉચ્ચ અધિકારીઓ, કલેકટર પી.ભારતી, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. સૌરભ પારધી સહિત જિલ્લાના અધિકારીઓ હાજર રહ્યા હતા.