ભાવનગરથી અમારા સંવાદદાતા સુરેશ ત્રિવેદી જણાવે છે કે, તાઉ’તે વાવાઝોડું ભાવનગર જિલ્લામાં ભારે ખાના ખરાબી સર્જી છે. ત્યારે વિપદ ની આ વેળાએ માનવતા પણ મહેકી ઉઠી ને સમાજ જીવનને નવ પલ્લવિત કરી રહી છે. આ કુદરતી આપદામાં વાવાઝોડું ત્રાટકેલ હોય તથા હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા બહારગામના દર્દીઓના સ્નેહીજનો જે હોસ્પિટલમાં બહાર, કોઈ ખુલ્લા આશ્રય સ્થાનોમાં આશ્રય લઇ રહ્યા છે. તેવા લોકો માટે ‘સેવાનું શેલ્ટર- માનવતાનો મંડપ’ બનેલી બ્રામ્હણ સમાજની રામવાડી દ્વારા વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો માટે પોતાના દ્વાર ખોલ્યા છે. જ્યાં આવાં વ્યક્તિઓને રહેવા, સુવા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારીમાં કોઈપણ સંક્રમિત પરિવાર ભૂખ્યો ન રહે તે માટે રામવાડીએ સેવા યજ્ઞ શરૂ કર્યો હતો. એક મહિના પછી પણ આ સેવા નિયમિત ચાલી રહી છે અને તેમાં જેમના ઘરે કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય તો તેવાં પરિવારને ભોજનની વ્યવસ્થા કરી આપીને સેવાનો સરવાળો કર્યો છે.