ભાવનગરથી અમારા સંવાદદાતા સુરેશ ત્રિવેદી જણાવે છે કે, તાઉ’તે વાવાઝોડું ગુજરાતની હદમાં પ્રવેશીને સંભવિત નુકશાન કરી શકે છે તેવી શક્યતાઓ વચ્ચે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભાવનગર જિલ્લાના ૧૧ તાલુકાના ૧૦૫ ગામોમાંથી સાવચેતી અને અગમચેતીના ભાગરૂપે ૧૯,૩૭૩ લોકોનું કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
દરમિયાન લોકો સલામત અને સુરક્ષિત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરિયા કાંઠા નજીકના ૪૩ ગામોના લોકોને સલામત સ્થળોએ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, જિલ્લાના મહુવા તાલુકાના ૧૪ ગામોમાંથી ૭,૨૯૧, તળાજાના ૬ ગામોમાંથી ૩,૦૫૦, ભાવનગર ગ્રામ્યના ૭ ગામોમાંથી ૨,૨૫૬, ઘોઘના ૨ ગામોમાંથી ૮૧૦, સીટી તાલુકાના ૧ ગામમાંથી ૧,૧૫૭, પાલિતાણા તાલુકાના ૭ ગામમાંથી ૧,૪૪૦, ગારિયાધાર તાલુકાના ૧૫ ગામમાંથી ૪૫૮, સિહોર તાલુકાના ૫ ગામમાંથી ૧૩૦, ઉમરાળા તાલુકાના ૧૧ ગામમાંથી ૯૮૦, વલ્લભીપુર તાલુકાના ૧૬ ગામમાંથી ૧,૧૯૬ અને જેસર તાલુકાના ૨૧ ગામમાંથી ૬૦૫ સહિત કુલ ૧૯,૩૭૩ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં ૫,૭૧૬ સ્ત્રી, ૫,૯૭૬ પુરૂષ અને ૭,૬૮૧ બાળકોનો સમાવેશ થાય છે.
સલામત સ્થળોએ ઊભા કરવામાં આવેલ આશ્રયસ્થાનોમાં આજે બપોર સુધીમાં સ્થળાંતરિત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી છે. ૧,૫૭૫ લોકોને સાયક્લોન શેલ્ટરમાં આશ્રય આપવામાં આવ્યો છે. જ્યારે ૧૭,૭૯૮ લોકોને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ આશ્રયસ્થાનોમાં ‘ઓટલા સાથે રોટલા’ની વ્યવસ્થા ગોઠવતાં તંત્ર દ્વારા ૧૯,૩૭૩ ફુડ પેકેટ પૂરા પાડવામાં આવ્યા છે.
આ તમામ આશ્રયસ્થાનો ખાતે કોરોનાની ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે. તદઉપરાંત બિનજરૂરી ભીડ ન થાય તે પણ સુનિશ્ચિત કરીને આશરો આપવામાં આવી રહ્યું છે.