રાજધાનીમાં કોવિડ-૧૯ના કેસોમાં ભલે સતત ઘટાડો થઈ રહ્યો હોય, પરંતુ લોકડાઉન ચાલું રહેશે. ૨૪ મે સુધી પ્રતિબંધો લાગુ રહેશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ વર્ષે ચોથીવાર લોકડાઉન વધારવાની જાહેરાત કરી દીધી છે. દિલ્હીમાં ગત મહિને લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી જેને વારંવાર આગળ વધારવામાં આવી. દિલ્હીમાં કોવિડ-૧૯ના પોઝિટિવ રેટમાં ત્યારથી લઇને અત્યાર સુધી લગભગ ૨૪ ટકાનો ઘટાડો થયો છે, પરંતુ સરકાર કોઈ પણ પ્રકારની ઢીલ નથી આપવા ઇચ્છતી. જે પ્રતિબંધો છેલ્લા ૩ અઠવાડિયાથી લાગુ છે, એ આગામી અઠવાડિયે પણ ચાલું રહેશે. ગત અઠવાડિયે સીએમ કેજરીવાલે મેટ્રો સેવાઓ પર પ્રતિબંધ લગાવવાની જાણકારી આપી હતી. રાજધાનીમાં લગ્ન સમારંભ પર પણ સંપૂર્ણ રોક લાગી છે. ગત અઠવાડિયે જાહેર કરવામાં આવેલા નિર્દેશો પ્રમાણે લોકડાઉન દરમિયાન મેટ્રોનું સંચાલન નથી થઈ રહ્યું. આ ઉપરાંત સાર્વજનિક સ્થાનો પર લગ્ન સમારંભના આયોજન પર પણ રોક છે. નિયમો અંતર્ગત લગ્નનો કાર્યક્રમ કોઈ પણ હોટલ, સામુદાયિક કેન્દ્ર, બેંક્વિટ હૉલ અથવા અન્ય સાર્વજનિક સ્થળ પર નહીં કરી શકાય. લગ્નની પરવાનગી હશે, પરંતુ આ ફક્ત કૉર્ટ અથવા ઘર પર આયોજિત કરવામાં આવી શકાશે. લગ્નમાં ૨૦થી વધારે લોકોને સામેલ થવાની પરવાનગી નહીં હોય. આ લગ્નમાં ટેન્ટ, ડીજે, મ્યુઝિક સિસ્ટમ, કેટરિંગ વગેરેનું બૂકિંગ પણ નહીં થાય. શનિવારના જાહેર બુલેટિન પ્રમાણે દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬,૫૦૦ નવા કેસ સામે આવ્યા છે, જે ૭ એપ્રિલ બાદ સૌથી ઓછા છે. દિલ્હીમાં લગભગ ૨ અઠવાડિયાથી રોજના પોઝિટિવ કેસો અને પોઝિટિવ રેટમાં ઝડપથી ઘટાડો જોવા મળી રહ્યો છે. ૨૦ એપ્રિલના દિલ્હીના રોજના પોઝિટિવ કેસ ૨૮,૩૯૫ હતા, જ્યારે ૨૨ એપ્રિલના સૌથી વધારે પોઝિટિવિટી રેટ ૩૬ હતો.
પાછલી પોસ્ટ