અમદાવાદથી અમારા સંવાદદાતા મનીષા પ્રધાન જણાવે છે કે,ભારતના ઇતિહાસમાં હસ્તકળા અને હાથશાળ તેના અભિન્ન અંગ ગણાય છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ સંદેશ ‘વોકલ ફોર લોકલ’ ને આત્મસાત કરીને લોકો સ્વદેશી વસ્તુઓ તરફ વળે તે હેતુથી ભારતનાં લોકો દ્રારા જ નિર્મિત, ભારતના લોકો માટે જ બનેલી ચીજવસ્તુઓ લોકો પોતાના ઘરે અને વ્યવસાયના સ્થળે વસાવે એ આ મેળાનો મુખ્ય ઉદ્દેશ છે. તેમ જણાવતા સાંસદ શ્રી ડો.કિરીટભાઈ સોલંકીએ ક્રાફ્ટ બજારને ખુલ્લું મુક્યું હતું.
અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય અને ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ વિવર્સ કો.ઓ.ફેડરેશન લી.ના સંયુકત આયોજનથી ક્રાફ્ટ બજારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના અને અન્ય રાજ્યોના કુલ ૧૦૦ કરતા વધારે સ્ટોલમાં રાજ્સ્થાનના જયપુર. ઉદયપુર, મુંબઈ, રાંચી- ઝારખંડ, પશ્ર્ચિમ બંગાળ, બિહાર, ઉજ્જૈન. ઈન્દોર-મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, તમિલનાડુના કારીગરો અને દિલ્હીના હસ્તકલાના સર્જકો તેમની કલા કારીગરીની ઉતમ વસ્તુઓ લઇને અહી આવ્યા છે.
ક્રાફ્ટ બજારનું પ્રદર્શન અને વેચાણ કોવિડના તમામ નિયમોનું પાલન કરીને યોજવામાં આવ્યો છે. જેનો મુખ્ય ઉદ્દેશ હાથશાળ, હસ્તકલા અને ગ્રામઉદ્યોગના સ્થાનિક કારીગરોને રોજગારી આપીને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે.
આ મેળામાં હાથશાળની બનાવટ, હસ્તકલાની વસ્તુઓ, માટીકામની વસ્તુ , ચર્મ કામ, મોતીકામ, ભરતકામ તથા ગૃહસુશોભનની અનેકવિધ ચીજવસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવી રહ્યું છે