આઈસીએસઈ બોર્ડના છઠ્ઠા ધોરણના પુસ્તકમાં મસ્જિદની એક તસવીરનો વિવાદ થયો છે. સોશિયલ મીડિયામાં આ તસવીર પોસ્ટ કરીને તેની વિરુદ્ધમાં અનેક લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. તસવીર દ્વારા એવું દર્શાવાયું છે કે મસ્જિદમાંથી થતી અઝાન પણ પ્રદૂષણનું એક કારણ છે. જોકે આઈસીએસઈએ ભારપૂર્વક કહ્યું છે કે તેણે આ પુસ્તક છપાવ્યું પણ નથી અને તેણે વિદ્યાર્થીઓને આ પુસ્તકની ભલામણ પણ કરી નથી. આ મુદ્દો શાળાઓનો છે. વિવાદ થતા પુસ્તકના પ્રકાશકે માફી માગી લીધી છે અને આગામી એડિશનમાં આ ચિત્ર હટાવી લેવાની ખાતરી આપી છે.
સેલિના પબ્લિશર્સના ધો.૬ના વિજ્ઞાનના પુસ્તકમાં ધ્વનિ પ્રદૂષણ અંગે એક ચેપ્ટર છે. તેમાં કાર, ટ્રેન, પ્લેનની સાથે મસ્જિદનું પણ ચિત્ર છપાયું છે. આ તમામ તસવીર સામે એક વ્યક્તિને અવાજથી પરેશાન થયેલો અને પોતાના કાન બંધ કરતો દર્શાવ્યો છે.
સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે ઓનલાઈન પિટીશન કરીને આ પુસ્તક બજારમાંથી પાછું ખેંચવાની ઝુંબેશ શરૂ કરી દીધી છે. આ મામલે આઈસીએસઈ બોર્ડ તરફથી હજી સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જોકે પ્રકાશકે તસવીર અંગે માફી માગી લીધી છે. સોશિયલ મીડિયા પર પબ્લિશર હેમંત ગુપ્તાએ કહ્યું કે પુસ્તકના પેજ નં.૨૦૨ પર છપાયેલું ચિત્ર એક કિલ્લા જેવું છે. જો ચિત્રથી કોઈની લાગણી દુભાઈ હોય તો હું માફી માગું છું.
ઉલ્લેખનીય છે કે ગાયક સોનુ નિગમે ગત એપ્રિલ મહિનામાં મસ્જિદની અઝાન મામલે નિવેદન કર્યું હતું, જેને પગલે ભારે વિવાદ થયો હતો.
સોનુએ કહ્યું હતું કે મસ્જિદના લાઉડ સ્પીકરમાંથી આવતા અઝાનના અવાજને કારણે તે સારી રીતે સંગીતનો અભ્યાસ નથી કરી શકતો અને તેની ઊંઘ પણ ઊડી જાય છે.