રાજયમાં દારૂબંધીના નવા કાયદાનો કડક અમલ શરૂ થઈ ગયો છે અને નીચલી કોર્ટમાં આરોપીઓને જામીન પણ મળતા નથી. ત્યારે આ કાયદા હેઠળ મુદ્દામાલ તરીકે લીધેલા વાહનો પણ છોડાવવા વધુ મુશ્કેલ બનશે. આ અંગે રાજય પોલીસ વડા ગીથા જોહરીએ એક પરીપત્ર જારી કર્યો છે જેમાં પ્રોહિબિશનના નવા કાયદા મુજબ જમા કરવામાં આવેલા વ્હીકલ પણ ન છુટવા જોઇએ તે અંગે યોગ્ય કાર્યવાહી કરવા તથા વધુ પ્રમાણમાં દારૂનો જથ્થો હોય તો પ્રોહિબિશન એક્ટની કલમ ૯૮(૨) લગાવવા રાજયની તમામ પોલીસને તાકીદ કરી છે.
આ ઉપરાંત જો કોર્ટે મુદ્દામાલ તરીકે જમા લીધેલ વ્હીકલ છોડી મુક્યું હોય તો તેની સામે તાકીદે અપીલ કરવા પણ આદેશ જારી કર્યો છે.રાજય પોલીસ વડા ગીથા જોહરીએ કરેલા પરિપત્રમાં એવો નિર્દેશ આપ્યો છે કે, પ્રોહિબિશન એક્ટની કલમ ૯૮(૨) મુજબ દારૂના કેસમાં પકડાયેલ વાહન કેસનો નિકાલ ન થાય ત્યાં સુધી છોડવાની સત્તા કોર્ટને નથી. પ્રોહિબિશન એક્ટમાં આવેલા સુધારા અંગે અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં રાખવામાં આવેલી વિડિયો કોન્ફરન્સમાં ચર્ચા કર્યા મુજબ રાજયના તમામ જિલ્લા-એકમો દ્વારા પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા વાહનો તેમ જ કોર્ટ દ્વારા છોડી મુકવામાં આવેલા વાહનોની માહિતી મંગાવામાં આવી હતી.જેમાં પકડાયેલા પૈકી ૩૬૬ વાહનો કોર્ટે છોડી મુક્યા છે ત્યારે આવું ન થાય તે મામલે જરૂરી કાર્યવાહી કરવી. આ ઉપરાંત દરેક પોલીસ પાસે એવી માહિતી માગવામાં આવી છે કે, પ્રોહિબિશન કેસનો ગુના રજિસ્ટાર નંબર, કોર્ટમાં વાહન છોડાવવા અરજી કરવામાં આવી છે કે નહીં?, કોર્ટમાં વાહન છોડવા માટે રજૂઆત કરી છે કે કેમ? કોર્ટમાં અરજી થઇ હોય તો તેનો નિર્ણય શું છે? વાહન છોડી મુકવામાં આવ્યું હોય તો અપીલ કરી છે કે નહીં? સહિતની માહિતી માગવામાં આવી છે. હવે પ્રોહિબિશનના કાયદા મુજબ જે વ્હીકલ જમા થશે તે છોડાવવું પણ મુશ્કેલ બને તેમ છે.
આગળની પોસ્ટ