રાજયમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. રાજ્યમાં ૨૦૨૦ સુધીમાં માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં ૫૦ ટકા જેટલો ઘટાડો કરવાની રાજ્ય સરકારે નેમ રાખીને રાજ્યમાં માર્ગ સલામતી ઓથોરિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે વટહુકમ પણ બહાર પાડવામાં આવ્યો છે, એમ વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા જણાવાયું છે. કચેરી દ્વારા જણાવાનુસાર માર્ગ અકસ્માતોમાં મોટા ભાગે ૧૮ થી ૩૫ વર્ષના વયજુથના યુવાનો અસરગ્રસ્ત બનતા હોય છે ત્યારે રાજ્યના યુવાનોના હિતમાં રાજ્ય સરકારે વર્ષ-૨૦૧૬માં ગુજરાત રાજ્ય રોડ સેફટી પોલીસી જાહેર કરી છે જેના પરિણામે આ ઓથોરિટી સ્થાપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. માર્ગ સલામતીનું કાર્ય અલગ અલગ આઠ સરકારી વિભાગો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકોના સુચારૂ સંકલનથી કરવામાં આવે છે. આ તમામ વિભાગો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકોને સંકલિત કરી શકે, દિશા નિર્દેશો આપી શકે તેવા માર્ગ સલામતી માટે સમર્પિત હોય તેવા સત્તા માળખાની રચના કરવી જરૂરી હતી અને નામ સુપ્રિમ કોર્ટે ગઠન કરેલી રોડ સેફટી કમિટિએ પણ સુચન કર્યું હતું. તેના પરિણામે આ રચના કરાશે. આ ઓથોરિટીમાં વાહન વ્યવહાર મંત્રીના અધ્યક્ષસ્થાને ગુજરાત રોડ સેફટી ઓથોરિટીની રચના કરવામાં આવશે. આ સત્તા મંડળમાં રોડ સેફટીના કામ સાથે સંકળાયેલા અલગ અલગ આઠ વિભાગોના સચિવો સભ્ય તરીકે રહેશે. ઉપરાંત તેમાં માર્ગ સલામતી ક્ષેત્રના નિષ્ણાતો પણ રહેશે. આ ઓથોરિટી માર્ગ સલામતીને લગતા અને આ વિષયોને સમગ્રતયા સમાવી લેતા ૩૦ જેટલા વિષયો પર કામ કરશે. આ ઓથોરિટીના વહીવટ માટે એક કાર્યવાહક સમિતિની રચના કરવામાં આવશે. જેના વડા ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના અગ્રસચિવ રહેશે. આ કાર્યવાહક સમિતિમાં માર્ગ સલામતી સાથે સંકળાયેલા અલગ અલગ વિભાગોના ખાતાના વડા સભ્યો રહેશે. આ ઓથોરિટીના કાર્યો કરવા રોડસેફટી કમિશનર અને ચીફ એન્ફોર્સમેન્ટ ઓફીસર તેમજ અલગ અલગ વિભાગોના કો-ઓર્ડિનેટર્સ રહેશે. ટ્રાફિક ગુનાઓના ભંગ બદલ એકઠી થતી દંડની રકમમાંથી સરકાર દ્વારા ઓથોરિટીને ગ્રાન્ટ આપવામાં આવશે. ઓથોરિટીને અકસ્માત માટે કારણભૂત થતાં બાંધકામો, માળખાઓ દુર કરવા માટે સત્તા રહેશે. અકસ્માતના કારણો દુર કરવા માટે ઓથોરિટી ખર્ચ વસુલી શકશે. અકસ્માતના કારણભૂત વાહનોને સીઝ કરવા તેમજ આવા વાહનોની હરાજી કરવાની સત્તા ઓથોરિટીને રહેશે. રોડ સેફટી સંબંધીત કામગીરી કરવા, જાહેરમાર્ગોમાં સુધારો કરવા વગેરે માટે અલગ અલગ વિભાગને સુચના આપવા, લોકલ ઓથોરિટીને સુચના આપવા ઓથોરિટીને સત્તા રહેશે. આ કામો પુરા કરવા જો સંબંધિત વિભાગ કે ઓથોરિટી નિષ્ફળ જશે તો જવાબદાર અધિકારીને ૧ લાખ સુધીનો દંડ કરવા ઓથોરિટીને સત્તા રહેશે. ઉપરાંત ઓથોરિટીના હુકમના અનાદર બદલ જવાબદાર વ્યક્તિ સામે પ્રસિક્યુશન કદરવા ઓથોરિટીને સત્તા રહેશે. ઓથોરિટીના અલગ અલગ હુકમ સામે નારાજ પક્ષકાર અપીલ ફાઈલ કરી શકશે અને અપીલના હુકમ સામે રિવિજન પણ થઈ શકશે. રોડ ટ્રાફિકને નિયમન કરવા આ કાયદા અથવા અન્ય કાયદાના અમલ માટે જાહેર અથવા ખાનગી એજન્સીની નિમણૂક કરવા ઓથોરિટીને સત્તા રહેશે.