કેન્દ્રીય મંત્રી અને એમઠીથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાની વિરુદ્ધ લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારીપત્રની એફિડેવિટમાં ખોટી માહિતી આપવા પર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ લખનઉના કૉંગ્રેસ લઘુમતી સેલના અધ્યક્ષ તૌહીદ સિદ્દીકીએ નોંધાવી છે.
સિદ્દીકીએ ફરિયાદમાં કહ્યું છે કે, ‘સ્મૃતિ ઈરાનીએ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી માટે પોતાનું નોમિનેશન એફિડેવિટ ચૂંટણીપંચને સોંપ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓએ ૧૯૯૪ માં દિલ્હી યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ કોમર્સમાં ડિગ્રી પૂર્ણ કરી છે. પરંતુ ૨૦૧૯માં લોકસભા ચૂંટણી માટે ભરેલા ઉમેદવારીપત્રની એફિડેવિટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ડિગ્રી પૂરી કરી નથી.’
સ્મૃતિ ઇરાની પર ચૂંટણી આયોગને ખોટી માહિતી આપવાનો આરોપ લગાવતા સિદ્દીકીએ કહ્યું કે ‘તેઓ ચૂંટણીપંચને ખોટુ બોલ્યા છે અને પોતાના એફિડેવિટ જે પ્રસ્તુત કરી છે પણ બનાવટી હોય તેવું પ્રતિત થાય છે. આ વિશ્વાસઘાતનું કાર્ય છે. ’ સિદ્દીકીએ સ્મૃતિ ઈરાની સામે ઉચિત તપાસ અને કાર્યવાહીની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે સ્મૃતિ ઈરાનીએ ગુરુવારે લોકસભા ચૂંટણી માટે અમેઠી સંસદીય ક્ષેત્રથી પોતાનું ઉમેદવારી નોંધાવી હતી. ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાનીને લગભગ એક લાખ મતથી હરાવ્યા હતા.