વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાન્ય લોકોને અપીલ કરી હતી કે જો તમે સમર્થ છો તો એલપીજી સબસિડી છોડી દો. વડાપ્રધાનના આહ્વાન બાદ મોટી સંખ્યામાં લોકોએ એલપીજી સબસિડી છોડી દીધી, પરંતુ જેને લઇને હવે એક રસપ્રદ વાત સામે આવી છે. કુલ ૨૪.૭૨ એક્ટિવ એલપીજી ઘરેલુ કસ્ટમર્સમાં ફક્ત ૧.૦૩ કરોડ એટલેકે ૪ ટકા લોકોએ જ પોતાની સબસિડી છોડી છે.
ચોંકાવનારી વાત સામે આવી છે કે સબસિડી છોડનારા લોકોમાં સૌથી આગળ વડાપ્રધાન મોદીનુ ગૃહરાજ્ય ગુજરાત નહીં, પરંતુ રાજધાની દિલ્હી છે. દિલ્હીમાં સૌથી મોટી સંખ્યામાં લોકોએ પોતાની એલપીજી ગેસ સબસિડી છોડી છે. અમૂક ગ્રાહક તો સબસિડી છોડ્યાના એક વર્ષ બાદ ફરીથી સબસિડી પાછી લેવાની માંગ કરી રહ્યાં છે. આ જ સૌથી મોટું કારણ છે કે સબસિડી છોડનારા ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. માર્ચ ૨૦૧૮માં સબસિડી છોડનારા લોકોની સંખ્યા ૧.૦૪ કરોડ હતી, જે ડિસેમ્બર ૨૦૧૮માં ઘટીને ૧.૦૩ કરોડ થઇ.
ડેટા પર નજર રાખવાથી ખબર પડે છે કે નાના રાજ્યોના લોકોએ મોટી સંખ્યામાં એલપીજી સબસિડી છોડી છે. જેમાં મિઝોરમ, નાગાલેન્ડ અને મણિપુર જેવા રાજ્યો સામેલ છે. જ્યારે ખૂબ ઓછા પ્રમાણમાં સબસિડી છોડનારા રાજ્યોની વાત કરીએ તો તેમાં ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો છે.
ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ (૩.૩૭ કરોડ) એલપીજી ગ્રાહક છે. જેમાંથી ફક્ત ૪ ટકા લોકોએ સબસિડી છોડી છે. મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં આ આંકડો અનુક્રમે ૬ ટકા અને ૩ ટકા છે. પશ્ચિમ બંગાળ એલપીજી કનેક્શનની સંખ્યાના મામલામાં સર્વોચ્ચ પાંચ રાજ્યોમાં છે, પરંતુ જ્યારે સબસિડી છોડવાની વાત કરીએ તો રાજ્યોની યાદીમાં ૨ ટકાની સાથે નીચલા સ્તરે છે. સૌથી ઓછી સંખ્યામાં સબસિડી છોડનારા રાજ્યોમાં પશ્ચિમ બંગાળ સિવાય આંધ્ર પ્રદેશ, ઓડિશા અને ઝારખંડ પણ છે. કર્ણાટક, પંજાબ અને રાજસ્થાનમાં ૫ ટકા લોકોએ એલપીજી સબસિડી છોડી દીધી છે. જ્યારે કેરળ અને તેલંગાણામાં ૪ ટકા લોકોએ એલપીજી સબસિડી છોડી દીધી છે.