આરજેડીના વડા લાલૂ યાદવની સામે કોઇપણ પ્રકારનો ખતરો હોવાનો રાંચી પોલીસે ઇન્કાર કર્યો છે. રાંચી પોલીસે આ બાબતને લઇને નિવેદન કરતા કહ્યું છે કે, લાલૂ યાદવ સામે ખતરો હોવાના બિનજરૂરીરીતે મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે. જેલના વરિષ્ઠ અધિકારીઓએ રિમ્સમાં તેમના વોર્ડની મુલાકાત લીધી હતી. આ ગાળા દરમિયાન એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે, કોઇ ખતરાને ધ્યાનમાં લઇને પોલીસ અધિકારીઓએ રિમ્સની મુલાકાત લીધી હતી. રાંચીમાં પોલીસ અધિકારીઓના કહેવા મુજબ સોમવારના દિવસે જેલના અધિકારીઓએ રિમ્સમાં ન્યાયિક કસ્ટડીમાં સારવાર કરાવી રહેલા લાલૂ યાદવના વોર્ડની નિયમિત મુલાકાત લીધી હતી. આ ગાળા દરમિયાન કોઇ ખાસ વાત થઇ ન હતી. લાલૂની જાન સામે કોઇ ખતરો હોવાનો પણ ઇન્કાર કરવામાં આવ્યો હતો. બિરસામુંડા જેલના વરિષ્ઠ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓએ સોમવારના દિવસે રિમ્સમાં સારવાર કરાવી રહેલા લાલૂ યાદવના વોર્ડનું નિરીક્ષણ કર્યું હતું. ઘાસચારા કૌભાંડમાં ત્રણ જુદા જુદા મામલામાં ગયા વર્ષે સજા પામ્યા બાદ બિરસામુંડા જેલમાં લાલૂ યાદવ સજા ભોગવી રહ્યા છે. લાલૂ યાદવને અનેક પ્રકારની બિમારીઓ છે જેની સારવાર તેઓ કરાવી રહ્યા છે. તબીબોનું કહેવું છે કે, તેમના આરોગ્યને પણ કોઇ ખતરો નથી. ચિંતાની કોઇ વાત નથી. લાલૂ યાદવ એક પછી એક તકલીફોમાંથી પસાર થઇ રહ્યા હોવાનો દાવો પરિવારે કર્યો છે.