પાકિસ્તાનમાં કરતારપુર કોરિડોરના શિલાન્યાસ કાર્યક્રમમાં સામેલ થયા બાદ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ ફરીએકવાર વિવાદમાં સપડાયા છે. આ વખતે ખાલિસ્તાની સમર્થક ગોપાલ ચાવલા સાથે તેમની તસવીર સામે આવ્યા બાદ અનેક લોકોના નિશાન પર છે. જો કે સિદ્ધુએ ચાવલાને ઓળખતા હોવાની સ્પષ્ટ ના પાડી દીધી. જેના પર ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કટાક્ષ કરતા કહ્યું કે હવે તમે કહેશો કે મારે ખાલિસ્તાન સાથે કોઈ સંબંધ નથી અને હું તેની નિંદા કરું છું. સ્વામીએ એમ પણ કહ્યું કે સિદ્ધુની તપાસ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (એનઆઈએ) પાસે કરાવવી જોઈએ. આ સાથે જ તેમની રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ ધરપકડ કરવી જોઈએ.
અત્રે જણાવવાનું કે પાકિસ્તાનમાં કરતારપુર સાહિબ કોરિડોરના શિલાન્યાસ કાર્યક્રમમાં ખાલિસ્તાન સમર્થક આતંકી ગોપાલ ચાવલાની હાજરી પર મોટો વિવાદ ઊભો થયો છે. આ વિવાદ એટલા માટે પણ વધી ગયો છે કારણ કે ગોપાલ ચાવલાએ પંજાબ સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ સાથે મુલાકાત કરી હતી. ચાવલાએ સિદ્ધુ સાથેની મુલાકાતની તસવીર પણ ફેસબુક પર શેર કરી હતી. આ તસવીરને શેર કરતા ગોપાલ ચાવલાએ સિદ્ધુને ’પાજી’ કહીને સંબોધિત કર્યા હતાં. પંજાબમાં પાજીનો અર્થ મોટાભાઈ થાય છે.