દેશમાં ૪૩ વર્ષ પહેલા લાગૂ કરવામાં આવેલી ઇમરજન્સીના વિષય ઉપર મુંબઈમાં આયોજિત કાર્યક્રમમાં બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટી ઉપર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, સત્તા સુખ માટે કોંગ્રેસની સરકારે દેશને મોટી જેલમાં બદલી દેવાનું કામ કર્યું હતું. તેમણે કહ્યું છે કે, આ દેશમાં જ્યારે જ્યારે કોંગ્રેસ અને એક ખાસ પરિવારને પોતાની ખુરશી જવાનો ખતરો લાગ્યો છે ત્યારે તેઓએ જોરશોરથી બોલવાની શરૂઆત કરી દીધી છે અને દેશને ખતરો હોવાની વાત કરવા લાગી ગયા છે. દેશને અમે જ બચાવી શકીએ છીએ તેવી વાત કરવામાં લાગી ગયા છે. મોદીએ કહ્યું હતું કે લોકશાહીમાં સાવધાન રહેવા માટે અમે ઇમરજન્સીની વાત કરીએ છીએ. એક પરિવાર માટે આ દેશની ન્યાય પાલિકાના ગૌરવને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસની માનસિકતા હજુ પણ બદલાઈ નથી. ન્યાય પાલિકાને ભયભીત કરવા માટે મહાભિયોગ દરખાસ્ત પણ આ રીતે જ લાવવામા ંઆવી હતી. મોદીએ વિગત આપતા કહ્યું હતું કે જ્યારે કિશોર કુમારને કોંગ્રેસ પાર્ટીએ એક કાર્યક્રમ માટે બોલાવ્યા હતા. કિશોર કુમારે કાર્યક્રમમાં આવવાનો ઇન્કાર કરી દીધો હતો જેથી રેડિયો પરથી તેમના ગીતોને દૂર કરી દીધા હતા. એટલું જ નહીં કોંગ્રેસ પાર્ટી આંધી ફિલ્મથી એટલી હદ સુધી ડરી ગઈ હતી કે, ફિલ્મ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. મોદીએ કહ્યું હતું કે જે પાર્ટીની અંદર લોકશાહી નથી તેનાથી લોકશાહીને લઇને કટિબદ્ધતાની અપેક્ષા કરી શકાય નહીં. મોદીએ ઉમેર્યું હતું કે, જે લોકોએ સ્વતંત્રતા પહેલાની સ્થિતિનો અનુભવ કર્યો નથી તે લોકો વાસ્તવિકતા સમજી શકશે નહીં. વર્તમાન નવી પેઢીને ઇમરજન્સી અંગે માહિતી નથી. મોદીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસે લોકોમાં ભયની લાગણી ફેલાવી હતી. કાલ્પનિક ભયની સ્થિતિ ઉભી કરી હતી. ભાજપ આવશે તો મુસ્લિમોને મારી નાંખશે. દલિતોને મુશ્કેલી થશે. આ પ્રકારની ભાવના ખુબ જ ખતરનાક છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે, જે લોકોએ લોકશાહીને જેલમાં ફેરવી દેવાનું કામ કર્યું હતું તે પાર્ટી પાસેથી આવી જ અપેક્ષા રહે છે. મોદી બંધારણને ખતમ કરી દેશે તેવી અફવા ફેલાવવામાં આવી રહી છે. ચૂંટણી પંચ અને ઇવીએમની કાર્યપદ્ધતિમાં ખામી શોધવા બદલ મોદીએ કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, આવા આડેધડ આક્ષેપના કારણે લોકસભાની ચૂંટણીમાં તેમની સીટોની સંખ્યા ૪૦૦થી ઘટીને ૪૪ થઇ ગઇ છે. કર્ણાટકના પરિણામ આવ્યા ત્યારે પણ કોંગ્રેસ પાર્ટીએ કોઇ બોધપાઠ લીધા નથી. અમે દેશને ઇમરજન્સીના સંદર્ભમાં જાગૃત કરવા ઇચ્છીએ છીએ.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ