કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ ડીલને લઇને કહ્યું કે મીડિયા નરેન્દ્ર મોદીને સવાલ કેમ નથી કરતી. રાહુલ ગાંધી બોલ્યા, “તમે (મીડિયા) મને આટલા બધા સવાલ પૂછો છો, હું યોગ્ય રીતે તેનો ઉત્તર આપું છું. તમે લોકો રાફેલ ડીલ વિશે પીએમને સવાલ કેમ નથી કરતા? તેમણે એક બિઝનેસમેનને ફાયદો પહોંચાડવા માટે આખી ડીલ જ બદલી નાખી. તમે અમિત શાહના દીકરા વિશે સવાલ કેમ નથી કરતા. આ સવાલ હું તમને પૂછવા માંગું છું.”
રાહુલ ગાંધીએ કહ્યું, “વડાપ્રધાનની સામે અમિત શાહના દીકરા જય શાહ વિશે સવાલ કેમ કરવામાં નથી આવતા, જેમની કંપની પર કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે મોદીની સરકાર બન્યા પછી તેને અનેકગણો નફો થયો છે. હું તમારા તમામ સવાલોનો જવાબ આપું છું. તમે મોદીને રાફેલ ડીલ વિશે અને શાહના દીકરા વિશે સવાલ કેમ નથી કરતા.”રાહુલ ઓલ ઇન્ડિયા અનઓર્ગેનાઇઝ્ડ વર્કર્સ કોંગ્રેસની મીટિંગ પછી મીડિયા સાથે વાત કરી રહ્યા હતા.રાફેલ ડીલને લઇને મોદી સરકાર પર લગાવવામાં આવેલા કોંગ્રેસના આરોપો પર ફ્રાન્સે જવાબ આપ્યો છે.ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, ફ્રેન્ચ ડિપ્લોમેટિક સોર્સિઝે કહ્યું, “રાફેલ ડીલમાં ભારતનો ફાયદો છે. આ મિલિટ્રી જેટને તેના આઉટસ્ટેન્ડિંગ પર્ફોર્મન્સ અને સ્પર્ધાત્મક કિંમતના કારણે પસંદ કરવામાં આવ્યું છે.”સોર્સિઝે સીધું કોંગ્રેસનું નામ લીધા વગર કહ્યું- કોઇપણ પ્રકારનો દાવો કરતા પહેલા ફેક્ટ્સને ચેક કરવાની જરૂર છે.ઉલ્લેખનીય છે કે મંગળવારે કોંગ્રેસ લીડર સુરજેવાલાએ કહ્યું હતું, “પીએમ મોદીએ રાફેલ ડીલમાં પોતાના બિઝનેસમેન દોસ્ત માટે દેશની સુરક્ષા સાથે સમાધાન કર્યું છે. આ ડીલથી સરકારી ખજાનાને નુકસાન થશે.”