સરકાર દ્વારા એસસી અને એસટીની જાતિમાં આવતા વિદ્યાર્થીઓને દર વર્ષે સ્કોલરશીપ આપવામાં આવે છે જેની પ્રક્રિયા સંબંધિત સંસ્થાઓને કરવાની હોય છે. જો કે, આ વર્ષે પ્રાથમિકથી લઇને ઉચ્ચ શિક્ષણ એટલે કે એન્જિનિયરિંગ, એમબીએ, એમસીએ, એમબીબીએસ જેવા કોર્સમાં હાલમાં છ મહિના પુરા થયા હોવા છતાં ગુજરાતની કોઇપણ સમાજ કલ્યાણ કચેરી દ્વારા આ વર્ષે સ્કોલરશીપના પૈસા ચુકવવામાં આવ્યા નથી. સરકાર દ્વારા કોલેજ અને સ્કૂલ ટર્મ ચાલુ થયાના ત્રણ મહિના બાદ જણાવવામાં આવે છે કે, વર્ષ ૨૦૧૭-૧૮માં વિદ્યાર્થીઓ ડિજિટલ ગુજરાતની વેબસાઇટમાં જ બધી પ્રક્રિયા કરવાની રહેશે. વિદ્યાર્થીઓને કોઇ તાલીમ પણ અપાઈ નથી જેથી વિદ્યાર્થીઓ માટે જટિલ સ્થિતિ સર્જાઈ છે. ડિજિટલ ગુજરાતનું પોર્ટલ પણ ધીમુુ છે જેથી પ્રક્રિયા ચાલી શકતી નથી તેવી ફરિયાદ ઉઠી રહી છે. બીજી બાજુ આદિજાતિની વિકાસ માટે મોટી વાત કરવામાં આવે છે પરંતુ ઓબીસીમાં રહેલા વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ આપવામાં આવતી નથી. બીજી બાજુ આવા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ન આપવાનો પરિપત્ર પણ ખાનગીરીતે બહાર પડાયો હોવાની ફરિયાદ ઉઠી છે.