દિલ્હી સરકારે આજે કહ્યું હતું કે, રાષ્ટ્રીય પાટનગરમાં તમામ સ્કૂલો રવિવાર સુધી બંધ રહેશે. હવા પ્રદૂષણના પરિણામ સ્વરુપે હાલત કફોડી બની ગઈ છે. પર્યાવરણમાં ઝેરી હવા ફેલાઈ જવાના કારણે સ્કૂલોને બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા દ્વારા આજે આ મુજબની વાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, દિલ્હીમાં હવાની ગુણવત્તા ખુબ જ ખરાબ થઇ ચુકી છે. આના કારણે બાળકોને નુકસાન થઇ રહ્યું છે. બાળકો અનેક પ્રકારની બિમારીઓના સકંજામાં આવી રહ્યા છે. શ્રેણીબદ્ધ ટિ્વટ કરીને સિસોદિયાએ કહ્યું છે કે, બાળકોના આરોગ્ય સાથે અમે ચેડા કરવાની સ્થિતિમાં નથી. ખાનગી અને સરકારી સહિત તમામ સ્કૂલો તમામ વર્ગ માટે રવિવાર સુધી બંધ રહેશે. તેમણે કહ્યું હતું કે, આરોગ્યના નિષ્ણાતો સાથે વાતચીત કરવામાં આવી રહી છે. માધ્યમિક સ્કૂલના વિદ્યાર્થીઓને પણ આવી જ સલાહ આપવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, એર ક્વોલિટી ઇન્ડેક્સ ૫૦૦ના સ્કેલમાં ૪૪૮ સુધી પહોંચી ગયા બાદ આ નિર્ણય કરાયો છે. આજે એક્યુઆઈ ૪૮૪ રહ્યો હતો. દિલ્હીમાં હવા પ્રદૂષણની સ્થિતિ ખુબ જ ચિંતાજનક બનેલી છે. શહેરમાં લોકો આના સકંજામાં આવી રહ્યા છે. સિસોદિયાની ઓફિસ તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, પંજાબ અને હરિયાણામાં પણ મોટી સંખ્યામાં વાહનો દિલ્હીમાં પ્રવેશ કરે છે. દિલ્હીમાં પ્રદૂષણને લઇને અગાઉ પણ અહેવાલો આવી ચુક્યા છે. સુપ્રીમ કોર્ટે આની ગંભીર નોંધ અગાઉ લીધી હતી અને દિવાળી ઉપર ફટાકડા ન ફોડવાનો આદેશ કર્યો હતો. આ નિર્ણયને લઇને જોરદાર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટે નિર્ણય પર ફેર વિચારણા કરવાનો ઇન્કાર કર્યો હતો.