કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યું હતું કે, જીએસટી કાઉન્સિલની બેઠકમાં ટેક્સટાઇલ સેક્ટરને મોટી રાહત આપવામાં આવી શકે છે. તેમણે સંકેત આપ્યો હતો કે, કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સટાઇલ કંપનીઓ સાથે વાતચીત કરવામાં આવી રહી છે. એસોસિએશન સાથે પણ વાતચીત થઇ રહી છે. જીએસટી સાથે સંકળાયેલી બાબતો ઉપર લોકોના અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે. સ્થાનિક ટેક્સટાઇલ સેક્ટરમાં રહેલી તકલીફ વચ્ચે સ્મૃતિ ઇરાનીએ આજે કહ્યું હતું કે, આ પાસાઓ ઉપર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવનાર છે. તેમણે ઉમેર્યું હતું કે, ટેક્સને લઇને રહેલી તકલીફો દૂર કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. સ્મૃતિ ઇરાનીએ નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ ધારાધોરણો પાળવા તેમની ઇચ્છા વ્યક્ત કરી હતી. સ્મૃતિ ઇરાનીએ એમ પણ કહ્યું હતું કે, એવી અફવા ફેલાવવામાં આવી રહી છે કે, જીએસટી હેઠળ ટેક્સને લઇને કંપનીઓ પરેશાન થયેલી છે પરંતુ આ અહેવાલ આધારવગરના છે. આજે સાંજે ઉત્તર પ્રદેશ ભાજપ હેડક્વાર્ટર ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે આ મુજબની વાત કરી હતી. સ્મૃતિએ કહ્યું હતું કે, ટેક્સટાઇલ સેક્ટર કૃષિ બાદ સૌથી વધારે પ્રમાણમાં નોકરીની તકો આપે છે. કેન્દ્ર સરકાર સ્થાનિક હેન્ડલુમ અને હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીના મહત્વને સમજે છે. નાના વણકરોના હિતમાં પણ નિર્ણય લેવામાં આવશે. જો કે, સ્મૃતિએ કહ્યું હતું કે, જીએસટીને લઇને થઇ રહેલી ટિકા વિરોધ પક્ષો દેખાવા પુરતો કરી રહ્યા છે. નોટબંધીની વાત કરતા સ્મૃતિએ કહ્યું હતું કે, પારદર્શી અર્થવ્યવસ્થાની દિશામાં ઐતિહાસિક અને સાહસી નિર્ણય લેવાયો હતો. આનાથી ભારતમાં વૈશ્વિક રેટિંગ વધી ગઇ છે. સ્મૃતિએ કહ્યું હતું કે, મોદી ભ્રષ્ટાચાર અને કાળા નાણાની સામે ખુબ મજબૂતીથી ઉભા છે.