એક અભૂતપૂર્વ ઘટનાક્રમમાં સીબીઆઈએ હવે કહ્યું હતું કે, સપ્ટેમ્બર મહિનામાં ગુરુગ્રામમાં સાત વર્ષીય બાળક પ્રદ્યુમન ઠાકુરની હત્યા કરનાર ધોરણ ૧૧ના વિદ્યાર્થીએ એવી ગણતરી કરી હતી કે, સ્કૂલના પ્રાંગણમાં બનેલી આ ઘટનાથી પરીક્ષાઓને મોકૂફ કરી દેવામાં આવશે. સાથે સાથે પેરેન્ટ્સ ટીચર વચ્ચેની બેઠક પણ મોકૂફ કરી દેવામાં આવશે. સીબીઆઈએ કહ્યું છે કે, ગઇકાલે મોડી રાત્રે જ ધોરણ ૧૧ના વિદ્યાર્થીની ધરપકડ કરી લેવાઈ છે. રેયાન ઇન્ટરનેશનલ સ્કૂલમાં રહેલા વિદ્યાર્થીની ધરપકડ કરી લેવાઈ છે. તે ૧૬ વર્ષનો છે. તેનું નામ હજુ સુધી કિશોર હોવાના કારણે જાહેર કરવામાં આવી રહ્યું નથી. અત્રે નોંધનીય છે કે, ગુરુગ્રામની રેયાન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરનાર પ્રદ્યુમન ઠાકુર નામનો વિદ્યાર્થી ૮મી સપ્ટેમ્બરના દિવસે સ્કૂલના પ્રાંગણમાં બાથરુમમાં ગળા કાપેલી હાલતમાં મૃત મળી આવ્યો હતો. દિવસો બાદ જ પોલીસે હત્યા બદલ સ્કૂલ બસના કંડક્ટરની ધરપકડ કરી હતી. આ શખ્સે પ્રદ્યુમનની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. ૨૨મી સપ્ટેમ્બરના દિવસે ગુરુગ્રામ પોલીસ પાસેથી આ કેસની જવાબદારી પોતાના હાથમાં લેનાર સીબીઆઈએ કહ્યું હતું કે, બસ કન્ડક્ટર અશોકકુમારે હત્યામાં કોઇ ભૂમિકા ભજવી નથી. તપાસમાં પરિવાર અને અન્યોની તપાસ પણ કરવામાં આવી હતી. ગઇકાલે મોડી રાત્રે ઝડપાઈ ગયેલા ધોરણ ૧૧ના વિદ્યાર્થીની સીસીટીવી ફુટેજના આધાર પર પુછપરછ કરવામાં આવી હતી. સીસીટીવી ફુટેજમાં આ વિદ્યાર્થી સ્કૂલના બાથરુમમાંથી બહાર આવતો દેખાઈ રહ્યો છે જ્યાં પ્રદ્યુમનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ૧૬ વર્ષીય કિશોરને જુએનાઇલ જસ્ટિસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કસ્ટડીમાં લીધા બાદ તેની વધુ પુછપરછ કરવામાં આવનાર છે.