ડેરાસજ્જા સોદાના વડા ગુરમિત રામ રહીમસિંહ દ્વારા બે રેપ કેસમાં સીબીઆઈ કોર્ટના ચુકાદા સામે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી ચુકી છે. રોહતક જિલ્લા જેલમાં રહેલા ગુરમિત રામ રહીમસિંહને ગયા મહિનામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ૫૦ વર્ષીય ડેરાના વડાને બળાત્કારના આરોપો અને નક્કર પુરાવાના આધારે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ડેરા વડાએ કહ્યું છે કે, તમામ આરોપો ખોટા છે. તે શારીરિક સંબંધો માટે સક્ષમ નહીં હોવાની વાત પણ કરવામાં આવી છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં આજે અપીલ દાખલ કરવામાં આવી હતી. આના મારફતે સીબીઆઈ કોર્ટના આદેશને પડકાર ફેંકવામાં આવ્યો હતો. ડિફેન્સ વકીલ વિશાલ ગર્ગ દ્વારા દલીલો કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, સીબીઆઈનો ચુકાદો કેટલાક આધાર પર પડકારવામાં આવ્યો છે. આધાર પૈકીના એક આધાર તરીકે એ છે કે, ભોગ બનેલી મહિલાના નિવેદનોને નોંધવામાં છ વર્ષથી વધુનો સમય લાગી ગયો છે. બનાવ બન્યા બાદ સીબીઆઈએ ઘણા સમય સુધી નિવેદનો નોંધ્યા ન હતા. ખાસ સીબીઆઈ કોર્ટે ૨૮મી ઓગસ્ટના દિવસે ડેરા સચ્ચા સોદાના વડાને ૨૦ વર્ષની જેલની આકરી સજા અને ૧૫ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. બે સાધ્વી ઉપર બળાત્કારના મામલામાં તેને દોષિત ઠેરવીને ૧૦-૧૦ વર્ષની બે જુદી જુદી સજા ફટકારી હતી. ૨૫મી ઓગસ્ટના દિવસે બાબાને દોષિત ઠેરવવામાં આવ્યા બાદ ૨૮મીએ સજાની જાહેરાત કરાઈ હતી.
ડેરા સચ્ચાના વડાને સજા કરવામાં આવ્યા બાદ હિંસા ભડકી ઉઠી હતી. બાબાને દોષિત ઠેરવતા તેમના સમર્થકો હિંસા ઉપર ઉતરી આવ્યા હતા. પંચકુલા અને હરિયાણામાં હિંસા ફેલાઈ હતી જેમાં ૩૪થી વધુ લોકોના મોત થઇ ગયા હતા અને અંધાધૂંધી પણ ફેલાઈ ગઈ હતી.