મુંબઈના બાન્દ્રા ઉપનગરના ઈસ્ટ ભાગમાં આવેલા બેહરામપાડા મોહલ્લામાં આજે સવારે પાણીની ૭૨ ઈંચની મોટી પાઈપલાઈન ફાટતાં એનું પાણી આસપાસની ઈન્દિરા નગર ઝૂંપડપટ્ટીના અનેક ઝૂંપડાઓમાં ઘૂસી ગયું હતું જેને પરિણામે બે બાળકનાં કરૂણ મોત થયા હતાં. આ દુર્ઘટના બાન્દ્રા ટર્મિનસ રેલવે સ્ટેશન પરિસરમાં બની હતી. પાઈપલાઈન ફાટતાં પાણી એટલા જોરદાર પ્રવાહ સાથે વહેવા માંડ્યું હતું કે બે નાનાં બાળકો એમાં તણાઈ ગયા હતા. મૃતક બાળકનું નામ વિજ્ઞેશ દોઈફોડે છે, જે આઠ મહિનાનો હતો. એની સાથે એની બહેન પ્રિયંકા દોઈફોડે (૯) પણ પાણીમાં ડૂબી ગયા હતાં. બંનેને નજીકની વી.એન. દેસાઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં પણ બંનેને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા.