રાજ્યના વન મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા અને મહિલા તથા બાળ વિકાસ મંત્રી નિર્મળાબહેન વાઘવાણીએ સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે વાઘોડિયા તાલુકાના નવા આજવા, રવાલ, ગુતાલ અને પ્રતાપપુરા (સરણેજ) ગામોમાં અને ડભોઇ તાલુકાના મંડાળા અને પિસાઇ ગામોમાં કરેલા વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના પગલે, બંને તાલુકાઓ માટે કુલ રૂા. ૧૮.૩૧ કરોડથી વધુ રકમના વિકાસ કામોનો લાભ મળવાનો માર્ગ મોકળો થયો હતો. સંસદિય સચિવ શ્રી જેઠાભાઇ સોલંકી, વાઘોડિયાના ધારાસભ્યશ્રી મધુભાઇ શ્રીવાસ્તવ, ડભોઇના ધારાસભ્યશ્રી બાલકૃષ્ણ પટેલ અને શ્રી સતીષ પટેલ સહિત બંને તાલુકાઓના પદાધિકારીઓ અને આગેવાનો કાર્યક્રમમાં જોડાયા હતા.
વન મંત્રી સહિતના મહેમાનોએ રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ અને મોટર વાહન ઉત્પાદક મારૂતિ દ્વારા સંચાલિત અને માપદંડો પ્રમાણે મોટર વાહન ચાલનની આદિજાતિ યુવાનોને વિનામૂલ્યે તાલીમ આપતી સંસ્થાની ગજાધરા ગામે મુલાકાત લીધી હતી અને તાલીમ દ્વારા આદિજાતિ યુવાનોના સશક્તિકરણની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. કાર્યક્રમમાં દિકરી બચાવો-દિકરી ભણાવોના શપથ લેવડાવવામાં આવ્યા હતા. વન મંત્રી અને મહાનુભાવોએ વાઘોડિયા અને ડભોઇના જાગૃત અને લોક હિતરક્ષક ધારાસભ્યોની સક્રિયતાની પ્રસંશા કરી હતી.
વન મંત્રીએ રાજ્ય સરકારની પર્યાવરણની સુરક્ષા, વૃક્ષ ઉછેર, આદિજાતિઓના સશક્તિકરણ અને ઐતિહાસિક પેસા એક્ટના અમલ સહિતની કામગીરીની વિગતવાર જાણકારી આપી હતી. મહિલા અને બાળ વિકાસ મંત્રીએ મહિલા સશક્તિકરણ, મહિલા અને બાળકોના આરોગ્યની રક્ષા, કુપોષણ નિવારણ સહિતના વિવિધ આયોજનોની માહિતી આપી હતી. સંસદિય સચિવે વિજયભાઇ રૂપાણીની સરકારની સશક્ત કામગીરીની ઝાંખી કરાવી હતી. ડભોઇના પ્રાંત અધિકારી ખ્યાતિ પટેલે મહેમાનોનું સ્વાગત કર્યુ હતું.