મહેસાણાથી અમારા સંવાદદાતા મહેશ અસોડિયા જણાવે છે કે,મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની વિરલ વસુંધરા સમાન ખણુંસા ગામે મા ભગવતી મેલડીનો મઢ આવેલો છે.દર વર્ષની જેમ આ વર્ષે આઠમી મે ના રોજ ભવ્ય પાટોત્સવ યોજાનાર હતો, પણ વર્તમાન કોરોનાની મહામારીને કારણે આ પાટોત્સવ રદ્દ કરવો પડ્યો છે. મઢના મહંત શ્રી પૂજ્ય મહેશપુરી બાપુજીએ આ પ્રસંગ નિમિત્તે અને આ લૉકડાઉનની પરિસ્થિતિમાં એવા પરિવારો કે જેઓ રોજનું કમાઈને પોતાના તથા કુટુંબનો પેટનો ખાડો પૂરવા ઝઝૂમી રહ્યા છે. તેવા ગરીબ ઝૂંપડામાં રહેતા લોકોને એક હજાર રાશનકીટનું વિતરણ કરાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સાથે સાથે મા ભગવતી મેલડીના પ્રસાદરુપે અલગથી માઈ ભક્તોને પેકેટ વિતરણની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. આ પ્રશંસનીય કામગીરીમાં ગામના સરપંચશ્રી એ.પી.પટેલ તથા આગેવાનો,મઢના સેવક પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. પૂ.મહેશપુરીબાપજીએ આપણો દેશ અને સમગ્ર વિશ્વ આ કોરોના મહામારીમાંથી મુક્ત થાય એવી હ્રદયપૂર્વક મા ભગવતી મેલડીને પ્રાર્થના કરી હતી અને સરકારશ્રીની ગાઇડલાઇનનું પાલન કરવા સૈને વિનંતી કરી હતી.
પાછલી પોસ્ટ