કોરોના મહામારી દરમિયાન બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે મદદ માટે હાથ લંબાવ્યો છે. તેણે પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરની સંસ્થાને એક કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. ગૌતમે ટિ્વટર પર આની જાણકારી આપતાં અક્ષય કુમારનો આભાર માન્યો છે. આ મુશ્કેલીના સમયમાં ગૌતમની ફાઉન્ડેશન લોકોને મદદ કરે છે.ગૌતમ ગંભીરે ટિ્વટ કર્યું કે, આ સમયે દરેક મદદ આશાનું કિરણ બનીને આવે છે. ગૌતમ ગંભીર ફાઉન્ડેશનને એક કરોડ રૂપિયા આપવા માટે તમારો આભાર અક્ષય કુમાર. આનાથી જરૂરિયાતમંદોને જમવાનું, ઓક્સિજન અને દવાઓની મદદ મળી શકશે.જે બાદ અક્ષય કુમારે જવાબ આપતાં ટિ્વટ કર્યું કે, આ બહુ જ મુશ્કેલ પળ છે. મને ખુશી છે કે હું મદદ કરી શકું છું. પ્રાર્થના કરું છું કે આ સંકટમાંથી અમે વહેલાં બહાર આવીએ. સલામત રહો.ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમાર હંમેશા સંકટના સમયે મદદ માટે સામે આવે છે. ગયા વર્ષે તેણે પીએમ કેર્સ ફંડમાં ૨૫ કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. તે બાદ મુંબઇ પોલીસ ફાઉન્ડેશનને પણ બે કરોડ રૂપિયા દાન આપ્યું હતું. તે આસામમાં પૂર પીડિતોને પણ મદદ કરી ચૂક્યો છે.અક્ષય કુમાર પોતે પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યો હતો. પરંતુ તે સ્વસ્થ થઇને હોસ્પિટલથી ઘરે પરત ફરી ચૂક્યો છે. તેની પત્ની ટિ્વંકલ ખન્નાએ પોસ્ટ શેર કરી આ વાતની જાણકારી આપી હતી.
આગળની પોસ્ટ