અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બાદ પાણી ભરવાની સમસ્યા અકબંધ રહેતા આ મુદ્દો કોંગ્રેસે હવે જોરદાર રીતે ઉઠાવ્યો છે. કેચપીટો અને સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન સાફ કરવા પાછળ જંગી રકમ ખર્ચ કરવામાં આવી હોવા છતાં પાણીની સમસ્યા યથાવત રહી છે. મંગળવારના દિવસે સવારના સુમારે ત્રણ કલાકમાં સરેરાશ વરસેલા ચાર ઈંચ વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ફરી વળતા વિપક્ષ કોંગ્રેસ દ્વારા કેચપીટો અને સ્ટ્રોમ ડ્રેનેજ લાઈનને સાફ કરવા પાછળ રૂપિયા ૨૦ કરોડની રકમનો ખર્ચ કરવામાં આવ્યો હોવાના દાવા પોકળ પુરવાર થતા વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ મામલે તાકીદે તપાસ કરીને જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવા માગણી કરવામાં આવી છે.આ અંગે પૂર્વ વિપક્ષનેતા અને બહેરામપુરા વોર્ડના કોર્પોરેટર બદ્દરૂદીન શેખે મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજુઆત કરતા એવી રજુઆત કરી છે કે,શહેરમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનો અને ૧.૨૫ લાખ કેટપીટો સાફ કરવા માટે રૂપિયા ૨૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.આમ છતાં શહેરના અનેક વિસ્તારો માત્ર ત્રણ ઈંચ વરસાદમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે.લોકોના ઘરોમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજના પાણી ઘુસી જવા પામ્યા છે.શહેરમાં ૨૫૦૦ કીલોમીટરના રોડ નેટવર્કની સામે માત્ર ૯૦૦ કીલોમીટર વિસ્તારમા જજ સ્ટ્રોમ ડ્રેનેજ લાઈન નાંખવામાં આવી છે.તેવા સમયે જે વીસ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે તે તમામ દાવાઓ પોકળ પુરવાર થવા પામ્યા છે.આ માટે તાકીદે તપાસ કરીને જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવા માગણી છે.બીજી તરફ શહેરના મેયર ગૌતમ શાહે કહ્યુ છે કે,શહેરમાં એક સાથે ત્રણથી સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હોઈ પાણી ભરાવાની સમસ્યા ઉભી થવા પામી છે.