મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી નિર્મલાબેન વાધવાણીએ જણાવ્યું છે કે, મહિલાઓના જીવનમાં સગર્ભા અને ધાત્રી અવસ્થા ખૂબ જ મહત્વની છે ત્યારે આવી મહિલાઓને પોષણક્ષમ આધાર પુરૂ પાડવા રાજ્ય સરકારે પોષણ સુધા યોજના (સ્પોટ ફિડીંગ પ્રોગ્રામ)નો નવતર અભિગમ અપનાવ્યો છે જે આશીર્વાદરૂપ નિવડશે.
સગર્ભા અને ધાત્રી માતાઓમાં પાંડુરોગમાં ઘટાડો તથા પોષણ સ્થિતિ અને પ્રસુતિના પરિણાામોમાં સુધારો કરવા આશયથી રાજ્યના પાંચ જિલ્લામાં પાયલોટ પ્રોજેકટ તરીકે આ યોજનાનો તાજેતરમાં શુભારંભ કરાયો છે., એમ જણાવી મંત્રી શ્રીમતી વાધવાણીએ કહ્યું કે, વલસાડ, છોટાઉદેપુર, મહિસાગર, નર્મદા અને દાહોદ જિલ્લાના ૧૦ તાલુકાઓમાં પોષણ સુધા યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં તમામ સગર્ભા અને ધાત્રી માતાઓને આંગણવાડી કેન્દ્રો ઉપર જ રોજ એક વખત સંપૂર્ણ ભોજન પુરૂ પાડવામાં આવશે. સાથે સાથે આઇ.એફ.એ. અને કેલ્શિયમની ગોળીઓ પણ આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પાંચેય જિલ્લાઓમાં ૫,૪૧૪ જેટલી સગર્ભા-ધાત્રી માતાઓને પોષણક્ષમ ભોજનનો લાભ અપાયો છે અને તમામને ૧ કિલો સુખડીનું પેકેટ આપવામાં આવ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.