અમદાવાદ શહેરમાં આ વર્ષે મોસમનો અત્યાર સુધીમાં સરેરાશ ૧૦ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે આમ છતાં આ વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ તંત્રની સ્માર્ટસીટીના દાવાઓને લગતી અનેક પોલ ખોલી નાંખી છે.મહત્વ પૂર્ણ બાબત તો સામે એ આવવા પામી છે કે,વર્ષ-૧૯૮૬માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં પૂર્વના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો હોવા છતાં આજદીન સુધી આ વિસ્તારો સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજલાઈન પહોંચાડવામાં મ્યુનિસિપલ તંત્ર નિષ્ફળ જતા આ વિસ્તારમાં રહેતા નાગરિકોની મુશ્કેલીઓમાં પારવાર વધારો થવા પામ્યો છે.આ અંગેની વિગત એવી છે કે,વર્ષ-૧૯૮૬ના વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં પૂર્વના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો એ પછી આજે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વાર્ષિક અંદાજપત્રનો આંકડો કુલ મળીને રૂપિયા ૬૫૫૧ કરોડ ઉપર પહોંચવા પામ્યો છે.આમ છતાં આ વિસ્તારમાં રહેતા લોકોને જે પાયાની એવી નળ,ગટર અને રસ્તાની પ્રાથમિક સુવિધાઓ તંત્ર તરફથી પુરી પડાવી જોઈએ એ પહોંચાડવામાં મ્યુનિસિપલ તંત્ર નિષ્ફળ નિવડયુ છે.આ વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે,મ્યુનિસિપલ તંત્ર આ વિસ્તારોમાંથી વર્ષે દહાડે કરોડો રૂપિયા ટેકસ પેટે વસુલીને લઈ જાય છે આમ છતાં પાયાની સુવિધાઓ આટલા વર્ષે પણ મળવા પામી નથી.અહીંથી ચુંટાઈને મ્યુનિસિપલ કોર્પોરેટર બનતા કોર્પોરેટરોમાં પણ રાજકીય ઈચ્છાશકિત ન હોવાના કારણે શહેરના પશ્ચિમ અને નવા પશ્ચિમઝોનના વિસ્તારોની સરખામણીમાં સુવિધાઓ મળતી નથી.દરમિયાન રામોલ-હાથીજણ વોર્ડના કોર્પોરેટર અતુલ પટેલે એક વાતચીતમાં કહ્યુ છે કે,હાથીજણ વોર્ડમાં આવેલા નવા વિંઝોલ,નવા વટવા, બચુભાઈનો કુવો, વીનીયાપીરનો ટેકરો વગેરે વિસ્તારમાં મ્યુનિ.દ્વારા ડ્રેનેજ પંપીંગ સ્ટેશન જ બનાવવામાં આવ્યુ નથી.જેને કારણે ગટરના ગંદા પાણી લોકોના ઘરોમાં બેક મારે છે ખાસ કરીને વરસાદની મોસમમાં આ પાણી રસ્તાઓ ઉપર ફરી વળે છે.જેને લઈને ગંદકી ફેલાઈ રહી છે.