ગાંધીજી તથા સરદારનો સંયુક્ત નિર્ણય
૨૮-ઓગસ્ટે બંધારણસભાએ સાત સભ્યોની એક મુસદ્દા સમિતિનું નિર્માણ કર્યું અને તા.૨૯મી ઓગસ્ટે આ મુસદ્દા દ્વારા ડૉ. આંબેડકરને ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા. ‘ભારતીય બંધારણીય વાત આવી ત્યારે નેહરૂએ બ્રિટિશ બંધારણવિદ આયવરી જેનિગ્સને યાદ કર્યા ત્યારે ગાંધીજીએ કહ્યું, ત્યાં શા માટે જવું છે ? આપણે ત્યાં ડો. આંબેડકર છે જ. જુલાઈ, ૧૯૪૭માં બ્રિટિશ સંસદે પસાર કરેલ ‘‘એક્ટ ઓફ ઈન્ડિયા ઈન્ડીપેન્ડન્સ’’’ અન્વયે બે રાષ્ટ્ર – પાકિસ્તાન તથા ભારતનું સર્જન થયું. ભાગલાને કારણે જ્યાંથી ડો. આંબેડકર ચૂંટાયા હતા. તે ભાગ પાકિસ્તાનમાં જતાં મુંબઈમાં બેરિસ્ટર મુકુંદરાવ જયકરના રાજીનામાંથી ખાલી પડેલી જગ્યાએથી તેમને પુનઃ બંધારણસભામાં ૨૩ જુલાઈએ ‘‘બિનહરીફ’’ ચૂંટવામાં આવ્યા હતાં. જોકે અહીં પણ કોંગ્રેસી નેતા નિજલિંગપ્પા ડો. વી.કે.આર.વી.રાવને લાવવા માટે દાવપેચ રમતા હતા. પરંતુ ગાંધીજી સરદારના સંયુક્ત નિર્ણય સામે તેમની કારી કારગત નીવડી નહીં. સરદારે પોતાની સત્તા વાપરી મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી ખેરને બે પત્રો લખી ડો. આંબેડકરને જ તાકીદે બિનહરીફ ચૂંટવાનો આદેશ આપ્યો હતો, અને તેમજ થયું. ડો. આંબેડકર પ્રત્યેની કોંગ્રેસી આગેવાનોની કડવાશ હજુ શમી નહોતી. વાંકદેખા કેટલાક કોંગ્રેસી આગેવાનો સરદાર પટેલને મળ્યા અને રજૂઆત કરી કે કોંગ્રેસના હાડોહાડ વિરોધી આંબેડકરને આવું સ્થાન શા માટે આપો છો. આખાબોલા સરદારે પેલા ઓને સાંભળાવી દીધું કે : ‘‘બંધારણ એ શું છે તેની તમને ગતાગમ છે ?’’ અમે સમજી વિચારીને યોગ્ય જ કર્યું છે. યોગ્ય વ્યક્તિની યોગ્ય જગ્યાએ નિમણૂંક કરી છે. બિચારા વિલા મોઢે પાછા ફર્યા. એક બીજો પ્રસંગ પણ છે. ૧૯૪૭ના સપ્ટેમ્બરમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીની બેઠક મુંબઈમાં મળી. તેમાં ડો. રાજેન્દ્ર પ્રસાદ, પંડિત નહેરૂ, સરદાર પટેલ અને મૌલાના અબ્દુલ કલામ આઝાદ ઉપસ્થિત રહેવાના હોવાથી મુંબઈ કોંગ્રેસના નેતા સ.કા.પાટીલે મુંબઈ મ્યુનિસિપિલ કોર્પોરેશન કોંગ્રેસ પક્ષ દ્વારા આ ચારેય આગેવાનોનું સન્માન કરવાનો ઠરાવ કરાવ્યો. તા.૧-૯-૪૭ની કોર્પોરેશનની બેઠકમાં કોંગ્રેસની બહુમતીથી પસાર પણ કરાવ્યો હતો. ચારેય કેબિનેટ મંત્રી હતા. તેમનું સન્માન કરાય તે ઉચિત પણ હતું. પરંતુ તે કેબિનેટમાં ડો. આંબેડકર અને એન.વી.ગાડગીલ પણ હતા. તે બંનેનું પણ સન્માન સાથે કરવાના સુધારાનો સ.કા.પાટીલે વિરોધ કર્યો. ડો. આંબેડકરનું સન્માન હજુ તેમને ખૂંચતું હતું. એવી રીતે એન.વી.ગાડગીલ પ્રત્યેનો દ્વેષ પણ કામ કરતો હતો.
(સાભાર :- ડો. બાબાસાહેબ આંબેડકર સંપૂર્ણ અક્ષરદેહગ્રંથ – ૧૬, પ્રકાશક : ડો. આંબેડકર ફાઉન્ડેશન, કલ્યાણ મંત્રાલય, ન્યુ દિલ્હી અને રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર, પ્રથમ આવૃત્તિ, એપ્રિલ – ૧૯૯૮)
સૌજન્ય :- ગીતા પબ્લિકેશન
ક્રમશઃ