અનાવલ ખાતેના વિજય વિશ્વાસ સંમેલનમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે કહ્યું હતું આજે મને ૫૪ વર્ષ પુરા થયાં મારા જીવનમાં આટલું મોટું કાર્યકર્તા સંમેલન મે જોયું નથી. આજે અહી કાર્યકર્તાઓનો મહાસાગર છલકાયેલો જોવા મળી રહ્યો છે. વરસાદની વચ્ચે કાદવમાં બે કિલોમીટર સુધી કાર્યકર્તા ચાલીને આવે છે તે ભાજપના કાર્યકર્તાઓનો વિશ્વાસ છે.મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ૧૨૮ બેઠક જીત્યા હતા પરંતુ હવે મોદી વડાપ્રધાન છે એટલે આપણે ૧૫૦થી વધુ બેઠક જીતવાનો ટાર્ગેટ રાખવો પડશે. ૧૯૯૦થી ભાજપ એક પણ ચૂંટણી હાર્યો નથી તેવી રીતે ૨૦૧૭માં વિધાનસભા ચૂંટણી આવે છે. હવે મોદીનો વિજય રથ ગુજરાતમાં આવ્યો છે ત્યારે પાંચ વાર સરકાર બનાવી છે તેથી સરકાર બનાવવા નહીં પરંતુ કોંગ્રેસને મરણતોલ ઘા મારવા માટે ચૂંટણી લડવાની છે હોવાનું જણાવી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના કાર્યકરોને કામગીરી માટે લાગી જવા માટે આહ્વાન કર્યું હતું.અમિત શાહે રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરીને કહ્યું કે હાલમાં રાહુલ બાબા વિદેશ વેકેશન જઈ પાછા આવ્યાને બોલતા હતા કે ભાજપે શું આપ્યું? ભાજપની સુચી તો ઘણી લાંબી છે પરંતુ બોલી શકે તેવા વડાપ્રધાન આપવાનું પહેલું કામ કર્યું છે. કોંગ્રેસીઓએ માત્ર ભ્રષ્ટાચાર કરીને લોકોની ગરીબ જનતાના પૈસાએ ચાઉં કરી જતા હતા. ૧૨ લાખ કરોડ ચાઉં કરી જનારી પાર્ટીના રાહુલ ગાંધી અમારી પાસે હિસાબ માંગે છે તેમને શરમ લાગવી જોઈએ. હાલ કેન્દ્રમાં પ્રમાણિક અને નિર્ણય કરનારી સરકાર કામગીરી કરી છે. સરદાર પટેલે બનાવેલી નર્માદા યોજનાને કોંગ્રેસે અટકાવી રાખી હતી તે કામગીરી નરેન્દ્ર મોદી સરકારે પુરી કરી છે.