આસામમાં પુરની સ્થિતી ગંભીર બનેલી છે. મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને હવે ૧૯ ઉપર પહોંચી ગઇ છે. જ્યારે ૧૫ જિલ્લાના ચાર લાખથી વધારે લોકોને પુરની અસર થઇ છે. એક સરકારી યાદીમાં કહેવામાં આવ્યુ છે કે બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અસરગ્રસ્ત લોકોને વધારે તકલીફ ન પડે તે માટે ૧૨૮ કેમ્પ સ્થાપિત કરવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન સર્વાનન્દ સોનેવાલે કહ્યુ છે કે સ્થિતી પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તેઓ પોતે સ્થિતીની સમીક્ષા પણ કરી ચુક્યા છે. લખીમપુરમાં ૧૦ વર્ષીય એક બાળકનુ ડુબી જવાથી મોત થયુ છે. આની સાથે જ મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૧૯ ઉપર પહોંચી ગઇ છે. રાજ્યની મુખ્ય નદીઓમાં પાણીની સપાટી સતત વધી રહી છે. સ્થિતી હજુ વણસે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. પુરના કારણે રાજ્યમાં ૧૬૦૦૦ હેક્ટરથી વધારે વિસ્તારમાં પાકને નુકસાન થયુ છે. નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. બચાવ અને રાહત કામગીરીમાં સુરક્ષા દળોની મદદ લેવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં લોકોને રાહત છાવણીમાં પણ ખસેડી લેવામાં આવ્યા છે. હજુ વધુ સંખ્યામાં લોકોને રાહત કેમ્પમાં ખસેડી દેવામાં આવે તેવી શક્યતા છે. પુરની સ્થિતી હજુ ગંભીર બનેલી છે. ૩૯૦૦૦ લોકો ઘરવગરના થઇ ગયા છે. તમામ નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી ગઇ છે. અસરગ્રસ્ત લોકોને રાહત છાવણીમાં ખસેડી લેવામાં આવ્યા છે. પુરની જ્યાં સુધી વધારે અસર થઇ છે તેમાં લખીમપુર, શિવસાગર, કચાર, ધેમાજી, વિશ્વનાથ, જોરહાત, ગોલાઘાટ, કરીમગંજ, સોનિતપુર અને નાલબેરીનો સમાવેશ થાય છે. હાલમાં રાજ્ય સરકાર દ્વારા આસામના મુખ્યપ્રધાન સર્વાનંદ સોનોવાલની સીધી દેખરેખ હેઠળ ૧૨૮ રાહત કેમ્પ ચાલી રહ્યા છે. ઉત્તરપૂર્વીય રાજ્ય આસામના સૌથી મોટા શહેર ગુવાહાટીને પણ અસર થઇ છે. કાજીરંગા નેશનલ પાર્ક, નામેરી નેશનલ પાર્ક અને પોબિટોરા વાઇલ્ડ લાઇફ પાર્કને પણ પ્રતિકુળ અસર થઇ છે. સ્થિતીમાં હાલમાં સુધારો થાય તેવી શક્યતા નહીવત દેખાઇ રહી છે. હાલમાં આસામમાં ભારે વરસાદના કારણે આ સ્થિતી સર્જાઇ છે. બચાવ અને રાહત કામગીરીમાં સંબંધિત તમામ વિભાગોની મદદ લેવામાં આવી રહી છે.