હાલમાં રિઝર્વ બેંકે ખાતાધારકોની સુરક્ષા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. નવા નિર્દેશો મુજબ ગ્રાહકની બેદરકારીના લીધે ખાતામાંથી પૈસા કપાશે તો સંપૂર્ણ નુકસાન ખાતેદારે જાતે ભોગવવું પડશે. આ માર્ગદર્શિકામાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જો અનઓથોરાઈઝ્ડ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ ટ્રાન્ઝેક્શન દરમિયાન કોઈ નુકસાન થાય તો તમારી બેંકને ત્રણ દિવસની અંદર ફરિયાદ કરવી જ જોઈએ. ત્યાર બાદ સંબંધિત રકમ ૧૦ દિવસની અંદર તમારા ખાતામાં ક્રેડિટ થઈ જશે. જો ગ્રાહક થર્ડ પાર્ટી ફ્રોડની જાણકારી ૪થી ૭ દિવસ પછી આપે તો તેને ૨૫,૦૦૦ રૂપિયા સુધીનું નુકસાન ખુદ ઉઠાવવું પડશે. જો કે ગ્રાહકની બેદરકારી (પીન નંબર કે ખાતા વિશેની માહિતી આપવી)ના કારણે જો પૈસા કપાઈ જશે તો નુકસાની સંપૂર્ણપણે ગ્રાહકે ભોગવવાની રહેશે.રિઝર્વ બેંકે આપેલી માહિતી પ્રમાણે અનધિકૃત ટ્રાન્ઝેક્શનના કેસમાં બેન્કને જાણ કર્યા પછી જે કંઈ પણ નુકસાન થાય તો તે બેન્ક ભોગવશે. નિર્દેશો મુજબ બેન્ક કે ખાતેદારની બેદરકારી હોય એવા સંજોગોમાં ગ્રાહકને હિસ્સે ઝીરો લાયાબિલિટી રહેશે. જો સાત દિવસ પછી ફ્રોડની બેન્કને જાણ કરવામાં આવશે તો બેન્કના બોર્ડ દ્વારા નક્કી કરાયેલી નીતિ અનુસાર ગ્રાહકને નુકસાની ચૂકવવામાં આવશે.આરબીઆઇના જણાવ્યા પ્રમાણે બેન્ક ખાતા અને કાર્ડમાં અનધિકૃત ટ્રાન્ઝેક્શન દ્વારા પૈસા કપાઈ જવાની ફરિયાદોમાં મોટાપાયે વધારો થયા બાદ નિર્દેશો જારી કરાયા છે. આરબીઆઇએ બેન્કોને તમામ ગ્રાહકોની એસએમએસ એલર્ટ માટે નોંધણી કરવા જણાવ્યું છે તથા પ્રત્યેક ટ્રાન્ઝેક્શનની એસએમએસ દ્વારા એલર્ટ મોકલવાની સૂચના આપી છે.