નર્મદા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને સુલેહ શાંતિ જળવાઇ રહે તે હેતુથી નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.એસ. નિનામાએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા તા.૪ થી જુલાઇ, ૨૦૧૭ થી તા. ૧૫ મી જુલાઇ, ૨૦૧૭ ના ૨૪=૦૦ કલાક સુધી નર્મદા જિલ્લાના હદ વિસ્તારમાં કેટલાંક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
તદઅનુસાર, ઉક્ત સમયગાળા દરમિયાન સમગ્ર નર્મદા જિલ્લાના વિસ્તારમાં કોઇ પણ વ્યક્તિ દ્વારા પત્રિકા, પ્રતિક, ચિત્રો, છબી, કપડા, ઝંડા, વાવટા, પતાકા, ભાષણ કે સભા દ્વારા અથવા કોઇ પણ પ્રકારના અવાજ દ્વારા કે કોઇ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ દ્વારા કોઇ પણ પ્રચાર કે અન્ય કોઇ પણ પ્રકારના પ્રદર્શનથી સ્થાનિક પ્રજાની, સરકારની અને કોઇ પણ જાતિની, ધર્મની, કોમની લાગણીઓ દુભાય તેવી તમામ પ્રવૃત્તિઓ કરવા ઉપર જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, નર્મદા દ્વારા પ્રતિબંધ ફરમાવાયો છે.