વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે ભારતીય અર્થવ્યવસ્થા પ્રત્યે આશાવાદ દર્શાવ્યો છે. મૂડીઝે આગામી નાણાકીય વર્ષ માટે ભારતના આર્થિક વિકાસદરનો અંદાજ વધારીને ૧૩.૭ ટકા કર્યો છે જે અગાઉ ૧૦.૮ ટકા હતો. આર્થિક ગતિવિધિઓ સામાન્ય થવાથી તેમજ કોરોના રસીકરણ અભિયાન શરૂ થયા બાદ માર્કેટમાં વધી રહેલા વિશ્વાસને જોતા મૂડીઝે અપગ્રેડેશન કર્યુ છે. રેટિંગ એજન્સીએ આ ઉપરાંત ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થામાં થનાર સંકોચનના અંદાજને પણ પોતાના અગાઉના ૧૦.૬ ટકા ટકાથી સુધારીને ૭ ટકા કર્યો છે. એટલે કે ચાલુ નાણાકીય વર્ષે ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસદરમાં ૭ ટકાનું સંકોચન થવાની ધારણા છે.
મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસના સહાયક એમડી જેને ફેંગે કહ્યુ કે, અમારો વર્તમાન અંદાજ એ છે કે પ્રવર્તમાન માર્ચ ૨૦૨૧માં સમાપ્ત થનાર ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં ૭ ટકાનું સંકોચન આવશે. અમે આર્થિક ગતિવિધિઓ સામાન્ય થતા અને આધારભૂત અસરોને ધ્યાનમાં રાખતા આગામી નાણાંકીય વર્ષે અર્થવ્યવસ્થામા ૧૩.૭ ટકાની વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ.
તે ઉપરાંત અન્ય રેટિંગ એજન્સી ઇકરાના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતી નાયરે કહ્યુ કે, ચાલુ નાંણાકીય વર્ષે ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૦ના ત્રીજા ક્વાર્ટરમા આર્થિક વિકાસદર ૦.૩ ટકા રહેવાની અપેક્ષા છે. તો ઇકરાનું માનવુ છે કે ભારતીય અર્થવ્યવસ્થા ચાલુ નાણાકીય વર્ષમાં સાત ટકા નીચે રહેશે જ્યારે આગામી નાણાકીય વર્ષમાં ૧૦.૫ ટકાની વૃદ્ધિ જોવા મળશે.