મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર માટે મહત્વની જાહેરાત કરી છે. તેમણે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચારૂપ, પાટણ ખાતે જીઆઇડીસી ના ૨૬૪ પ્લોટની કોમ્પ્યુટરાઇઝ ડ્રો થકી ફાળવણી કરી.
રાજ્યના ૮ જિલ્લામાં ૯૮૭ હેક્ટરમાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવશે. આ ૮ વસાહતોમાં મોરબી ખાતે આશરે ૫૦૦ હેક્ટર વિસ્તારમાં બનનાર નવિન વસાહત તમામ અદ્યતન માળખાકીય તેમજ આનુષાંગિક સુવિધાઓથી સુસજ્જ એક ‘મોડલ એસ્ટેટ’ બનશે.
આ નવી જીઆઇડીસી વસાહતોથી એમએસએમઇ સેક્ટરને ૫૦૦ થી ૨ હજાર ચોરસ મિટરના ૨૫૭૦ પ્લોટ અને મોટા ઉદ્યોગોને ૧૦ હજારથી ૫૦ હજાર ચોરસ મિટરના ૩૩૭ પ્લોટ ઉપલબ્ધ થશે.
આ નવી જીઆઇડીસી વસાહતોથી જલોત્રા-બનાસકાંઠાનો માર્બલ કટીંગ, પોલીશીંગ ઉદ્યોગ, શેખપાટ-જામનગરનો બ્રાસ ઉદ્યોગ, મોરબીનો સિરામિક ઉદ્યોગ, કડજોદરા-ગાંધીનગરનો ફૂડ-એગ્રો ઉદ્યોગ, પાટણનો ઓટો એંસિલરી ઉદ્યોગ, નાગલપર અને રાજકોટનો મેડિકલ ડિવાઇસ ઉદ્યોગ તથા આણંદ અને મહિસાગરના ઇજનેરી ઉદ્યોગોને લાભ થશે. નવી જીઆઇડીસી વસાહતોથી રૂ. ૧૨૨૩ કરોડનું કેપીટલ ઇન્વેસ્ટમેન્ટ અને ૨૦ હજાર નવી રોજગારી આ નવિન પ્રકલ્પો ભવિષ્યમાં પુરી પાડશે.
આ પ્રસંગે રૂપાણીએ જણાવ્યું હતું કે સરકારે એમએસએમઇને વેગ મળે તે હેતુથી રાજ્યની હયાત ૯ ઔદ્યોગિક વસાહતોમાં મલ્ટી સ્ટોરી શેડ્સ (બહુમાળી શેડ) બનાવવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, રાજ્યના પાંચ જિલ્લા વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા અને અમદાવાદમાં ૩૬૦ નવા બહુમાળી શેડ નિર્માણ પામશે. જેથી લગભગ ૧૦૦ કરોડ રૂપિયાનું કેપીટલ ઇન્વેસ્ટમેન્ટ અને ૧ હજાર નવી રોજગારી શક્ય બનશે.
તેમણે વધુમાં કહ્યું કે, દહેજ, સાયખા, અંક્લેશ્વર, હાલોલ, સાણંદ, વાપી અને લોધિકાની હયાત વસાહતોને પણ તમામ મૂળભુત અને હાઈટેક સુવિધાઓ સાથે વિકસાવી‘મોડલ એસ્ટેટ’ બનાવવાનું આયોજન છે. ગુજરાત રાજ્યની સ્થાપના વખતે રાજ્યમાં માત્ર ૬ હજાર એમએસએમઇ યુનિટ હતા. છેલ્લા બે દાયકા બાદ આજે રાજ્યમાં ૩૫ લાખ એમએસએમઇ યુનિટ કાર્યરત છે.
આગળની પોસ્ટ