એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ફરી એક વખત મોટી બેદરકારી સામે આવી છે. પશ્ચિમ બંગાળના બાગડોગરાથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટ નં. એઆઇ ૮૦૦માં એસી ખરાબ હોવા છતાં ઉડ્ડયન કરીને પેસેન્જરોના જીવ જોખમમાં મૂકી દીધા હતાં. એસી બંધ હોવાના કારણે ફ્લાઇટની અંદર પેસેન્જરોએ અખબાર વડે હવા ખાવી પડી હતી અને ઓક્સિજનની કમીના કારણે કેટલાક મુસાફરોની તબિયત બગડી હોવાનું પણ જાણવા મળ્યું છે. પેસેન્જરોના જણાવ્યા મુજબ ફ્લાઇટ ઉપડી એ પહેલાં જ એસી બંધ હતું પરંતુ ફરિયાદ કર્યા બાદ સ્ટાફે કહ્યું કે ટેક ઓફ કરતા જ એસી ચાલુ થઇ જશે. ટેક ઓફ કર્યા બાદ મુસાફરોની ગરમીમાં હાલત ખરાબ થઇ ગઇ અને તેમણે અખબારથી હવા ખાવાનો વારો આવ્યો. ફ્લાઇટમાં સવાર અસ્થમાના એક દર્દીની હાલત ખરાબ થતા તેને ઓક્સિજન માસ્ક લગાવવામાં આવ્યો. પરંતુ ત્યારે ખબર પડી કે ફ્લાઇટના ગેસ સિલિન્ડરમાં ઓક્સિજન જ નથી. પેસેન્જરોએ ફરિયાદ કરવા છતાં સ્ટાફે તેમની વાત જ ન સાંભળી. દિલ્હી ખાતે ફ્લાઇટ લેન્ડ થયા બાદ પેસેન્જરોએ એર ઇન્ડિયાના અધિકારીઓ સાથે વાત કરવાની કોશિશ કરી ત્યારે તેમના તરફથી અસુવિધા બદલ માફી પણ ન માંગવામાં આવી. એક્સપટ્ર્સના જણાવ્યા અનુસાર એસી કામ ન કરતું હોય એવા સંજોગોમાં વિમાનને ઉડવાની મંજૂરી જ ન આપવી જોઇએ. આવું કરીને વિમાન કંપનીએ મુસાફરોના જીવ જોખમમાં મૂક્યાં છે અને તેમને ભારે દંડ થવો જોઇએ. એર ઇન્ડિયાએ આ અંગે કહ્યું કે મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યાં છે.
પાછલી પોસ્ટ