ભોઇ પાસેના ગુમાનપુરા ગામમાં ભાથુજી મહારાજના મંદિરના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે ગુમાનપુરાના ગ્રામજનો પાસેની નદીમાંથી મંદિર માટે રેતી લેવા ગયા હતા ત્યારે રેતીના લીઝ ધારકે પોલીસ તંત્ર સાથે સાઠગાંઠ કરી ગ્રામજનોને ડરાવવા- ધમકાવવા માટે ચાંદોદ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ શાંતિલાલ માળીને મોકલી આપ્યા હતા. પોલીસના કોન્સ્ટેબલે લીઝ ધારકના ઇશારે ગ્રામજનોને ડરાવવા – ધમકાવવાનું ચાલુ કરી દીધું હતું અને ગ્રામજનો સાથે આરોપીઓ જેવું વર્તન કર્યું હતું તેમજ ત્યાં હાજર ગામની મહિલાઓ સાથે પણ ગેરવર્તન કર્યું હતું તેમજ આ કોન્સ્ટેબલે ગ્રામજનોને અપશબ્દો પણ બોલવાનું ચાલુ કરી દીધેલ જેથી ગ્રામજનોમાં પોલીસ તંત્રની બેધારી નીતિ સામે ભયંકર આક્રોશ ફાટી નીકળ્યો હતો કારણકે રેતી લેવા ગયેલા ગ્રામજનોમાં મહિલાઓ પણ હાજર હતી ત્યારે મહિલા કોન્સ્ટેબલની હાજરી વગર માત્ર એક કોન્સ્ટેબલ પહોંચી જઈ ગ્રામજનોને ધમકાવવોનો પ્રયાસ કર્યો હતો. નજીવી વાતે ગ્રામજનોને ડરાવવા- ધમકાવવનો પ્રયાસ થતાં ગ્રામજનોએ રેલી કાઢી પોલીસ તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતાં. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે, પોલીસ તંત્ર રેત માફિયાઓને છાવરે છે અને અમોને ખોટી રીતે હેરાન કરે છે. રેત માફિયાઓ અહીંયા વર્ષોથી અડીંગો જમાવીને બેઠા છે ગામના રસ્તા – ચીલાઓ અને ખેતરોની સ્થિતિ બગાડી નાંખી છે. રેત માફિયાઓ – પોલીસ તંત્રની સાંઠગાંઠના પરિણામે પોલીસ તંત્ર રેતી માફિયાઓના ઈશારે જ નાચે છે. આમ ગ્રામજનોનો રોષ ભભૂકી ઉઠતા પોલીસ કોન્સ્ટેબલ શાંતિલાલ માળી ત્યાંથી રવાના થઈ અંડરગ્રાઉન્ડ થઈ ગયેલ હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.
(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)